બગસરાના ઐતિહાસિક બુધ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના અંતિમ સોમવારે હિમલિંગ દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શિવભક્તોએ મહેનત કરીને મંદિર પરિસરમાં હિમાલયના શિખરો, બાબા અમરનાથની ગુફા અને હિમલિંગની આબેહૂબ ઝાંખી તૈયાર કરી હતી. વહેલી સવારથી જ દર્શન માટે ભાવિકોની ભારે ભીડ ઉમટી હતી. અમરનાથના હિમલિંગ સમાન દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્‌યું હતું. સ્થાનિક આગેવાનો અને ધર્મપ્રેમી લોકોએ ઝાંખી તૈયાર કરનાર યુવાનોની સેવા ભાવનાને બિરદાવી હતી.