ગાંધીનગરના માણસા નજીક અંબોડ હાઈ-વે પર આવેલી પ્રિયંકા ગોલ્ડ સોસાયટીના પાંચમા માળે બંધ ફ્લેટમાંથી સચિવાલયના નિવૃત્ત કર્મચારીની લોહીથી લથબથ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ ૬૧ વર્ષીય બાબુલાલ વાલીગ ડોડીયાળ તરીકે થઈ છે. તેઓ વર્ષ ૨૦૨૩માં ગાંધીનગર સચિવાલયમાં પટાવાળા તરીકે નિવૃત્ત થયા હતા. તેઓ પરિવાર સાથે ગાંધીનગર રહેતા હતા અને અંબોડ સ્થિત પોતાના ફ્લેટ પર અવારનવાર આવતા હતા. ફ્લેટમાંથી કોઈ સામાન ગાયબ થયો નથી તેમજ લૂંટના કોઈ પુરાવા પણ મળ્યા નથી. જેથી કોઈ પરિચિત વ્યક્તિએ અંગત અદાવતમાં હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. માણસા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને એફએસએલની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. માણસા પીઆઈ જે.બી. ખાંભલાના જણાવ્યા મુજબ, સોસાયટીમાં મૃતકના બે ફ્લેટ છે. સામેનો ફ્લેટ ભાડે આપેલો છે. ગઈકાલે જ રાજસ્થાની ભાડુઆત દ્વારા ત્રણ મહિનાનું બાકી ભાડું ચૂકવાયું હતું. પોલીસે પાડોશીઓ અને પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે.








































