આજે ગુજરાત સહિત દેશભરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં પણ રક્ષાબંધનના પાવન પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. પર્વ નિમિત્તે ભગવાનના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી.
રક્ષાબંધન પર્વની વિશેષ ધાર્મિક પરંપરા અંતર્ગત બહેન સુભદ્રાજીએ ભાઈ ભગવાન જગન્નાથજીને અને ભાઈ બલભદ્રને રાખડી બાંધી હતી. આ પ્રસંગે ભગવાનને વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી ચાંદીની રાખડી અર્પણ કરાઇ હતી જગન્નાથ મંદિરમાં રક્ષાબંધન પર્વની આ ધાર્મિક પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ભાઈ-બહેનના પવિત્ર સંબંધને સમર્પિત આ પર્વે ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજીના દર્શન માટે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. રક્ષાબંધનના પર્વને લઈને મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. ભક્તોએ ભગવાનના દર્શન કરી પરિવારના સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. રક્ષાબંધન નિમિત્તે મંદિર ખાતે વિશેષ ધાર્મિક વિધિઓ અને પૂજા-અર્ચનાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
શામળાજી અને ડાકોરમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. બંને યાત્રાધામોમાં ભગવાનના વિશેષ શણગાર અને સોનાની રાખડીના દર્શન માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
શ્રાવણી પૂનમના પાવન અવસરે શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનને ખાસ વાઘા સાથે સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ કરવામાં આવી હતી. ભગવાનને સમગ્ર જગતના ભાઈ તરીકે માનીને રક્ષાબંધન નિમિત્તે આ પરંપરા નિભાવવામાં આવે છે. મોટી સંખ્યામાં પહોંચેલા ભક્તોએ પણ ભગવાનને રાખડી અર્પણ કરી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.
શામળાજી મંદિરમાં શ્રાવણી પૂનમ નિમિત્તે દિવસ દરમિયાન ભગવાનના વિવિધ મનોરથના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાનના અલગ-અલગ અલૌકિક સ્વરૂપના દર્શન કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની અવરજવર શરૂ થઈ ગઈ હતી અને સમગ્ર મંદિર પરિસર ભક્તિના માહોલથી ગુંજી ઉઠ્યું હતું.
બીજી તરફ પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ શ્રાવણી પૂર્ણિમાની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. અહીં વહેલી સવારે ૫ વાગ્યે ઉત્તરાઈ મંગળા આરતી સાથે દિવસની શરૂઆત થઈ હતી. મંગળા આરતીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડાકોર પહોંચ્યા હતા. ઠાકોર રણછોડરાયના વિશેષ દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે ડાકોરના ઠાકોર રણછોડરાયને પણ સોનાની રાખડી બાંધી રક્ષાબંધનની પરંપરા નિભાવવામાં આવી હતી. ભગવાનના આ વિશેષ શણગાર અને સોનાની રાખડીના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જાવા મળી હતી.
રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના સંબંધ પૂરતું મર્યાદિત પર્વ નથી, પરંતુ ધાર્મિક પરંપરામાં પણ તેનું વિશેષ મહત્વ છે. શ્રાવણી પૂનમના દિવસે ભક્તો પોતાના આરાધ્ય દેવને રાખડી અર્પણ કરી પરિવાર અને સમાજની સુખ-શાંતિ તથા રક્ષાની પ્રાર્થના કરે છે. ગુજરાતના વિવિધ મંદિરોમાં પણ આજે ભક્તો ભગવાનને રાખડી અર્પણ કરી રહ્યા છે. શામળાજી અને ડાકોરમાં આ પરંપરાને કારણે વિશેષ ધાર્મિક માહોલ સર્જાયો છે.
શ્રાવણી પૂનમના પાવન પર્વે શામળાજીથી ડાકોર સુધી ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત ઉપરાંત અન્ય વિસ્તારોમાંથી પણ શ્રદ્ધાળુઓ પોતાના આરાધ્ય દેવના દર્શન કરવા યાત્રાધામોમાં પહોંચી રહ્યા છે. સોનાની રાખડી, ભગવાનનો વિશેષ શણગાર, મનોરથના દર્શન અને ધાર્મિક વિધિઓને કારણે બંને યાત્રાધામો ભક્તિ અને આસ્થાના રંગે રંગાઈ ગયા છે. વહેલી સવારથી મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળતાં સમગ્ર વાતાવરણમાં ઉત્સવનો માહોલ છવાયો હતો











































