સાવરકુંડલા ખાતે આવેલી કે. કે. મહેતા સરકારી હોસ્પિટલમાં તાજેતરમાં તબીબી સ્ટાફના આયોજનના પરિણામે માત્ર ૨૪ કલાકમાં કુલ ૧૬ સફળ પ્રસૂતિઓ કરાવવામાં આવી છે. આ સફળ કામગીરીમાં ૧૨ સામાન્ય પ્રસૂતિ અને ૪ સિઝેરિયન શસ્ત્રક્રિયાનો સમાવેશ થાય છે. તબીબો અને ર્નસિંગ સ્ટાફની સમયસૂચકતાને કારણે તમામ માતાઓ અને નવજાત બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ છે. હોસ્પિટલના અધિક્ષક ડા. વિવેક તરસરીયા, ગાયનેકોલોજિસ્ટ તેમજ એનેસ્થેટિસ્ટની ટીમે સાથે મળીને આ ઉત્કૃષ્ટ સેવા આપી હતી. આ દરમિયાન દર્દીઓને જનની સુરક્ષા યોજના જેવી સરકારી યોજનાઓ હેઠળ નિઃશુલ્ક સારવાર અને દવાઓ પૂરી પાડવામાં આવી હતી, જેથી સ્થાનિક રહીશોમાં સરકારી આરોગ્ય સેવાઓ પ્રત્યે વિશ્વાસ વધુ સુદ્રઢ બન્યો છે.