ઉનાના ગીરગઢડા રોડ પર મોદી ગ્રાઉન્ડ નજીકના પુલ પરથી ગુરુવારે સવારે એક અજાણ્યા યુવાને આત્મહત્યાના ઇરાદે છલાંગ લગાવી હતી. સદનસીબે પુલ નીચે ઝાડી-ઝાંખરા હોવાથી તેમાં ફસાઈ જતાં તેનો જીવ બચી ગયો હતો. ઘટનાની જાણ થતાં ઉના પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને યુવાનને સુરક્ષિત બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. આ પહેલાં યુવાન સ્કૂલ બસ સાથે અથડાવાનો પ્રયાસ કરતાં સ્થાનિકોએ તેને સમજાવ્યો હતો.
જોકે, તે લોકોની નજર ચૂકવી પુલ તરફ દોડી ગયો હતો. હોસ્પિટલમાં પણ યુવાન સતત અલગ-અલગ નામ આપતો હોવાથી તેની ઓળખ થઈ શકી નથી. પોલીસે વાલીવારસાની શોધખોળ શરૂ કરી છે.











































