નવસારીમાં ‘નમો કમલમ’ ભાજપ કાર્યાલયનું ઉદ્ધાટન કર્યાં બાદ પ્રધાનમંત્રી મોદીએ જનસભાને સંબોધિત કરતાં કહ્યું કે નવસારીના વિકાસ માટે કાર્યકરોએ અથાગ મહેનત કરી છે. દિવસ-રાત જનસેવાના કાર્યો કરે છે. ગામડે ગામડે માઈક્રો કલીનિગ અભિયાન ઉપાડવામાં આવ્યું. તેમણે કહ્યું કે પીએમ સ્વનિધિ યોજનાએ લારીવાળાઓનું જીવન બદલી નાખ્યું છે. ભાજપ કાર્યાલયમાં દુઃખીયાના દુઃખ દૂર થાય એવા કામ કરવાના છે.
આ પ્રસંગે પીએમ મોદીએ એક હળવી મજાક પણ કરી હતી. પીએમ મોદીએ સૌરાષ્ટ્રવાસીઓના પાન-મસાલા ખાવાની આદતનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે સૌરાષ્ટ્રવાળા અહીં ઘણાં છે, તેઓ ભારત માતા કી જય બોલીવને પિચકારી મારે અને માવા ખોવાનું છોડી દે.
વડોદરાના કાર્યક્રમ બાદ પીએમ મોદી નવસારી પહોંચ્યા હતા જ્યાં તેમણે દેશના પ્રથમ એઆઇ આધારિત અત્યાધુનિક કાર્યાલય ‘નમો કમલમ’નું ઉદ્ધાટન કર્યું હતું. સમગ્ર જિલ્લામાં ૪૦૦૦ સ્ક્રીન પરથી ૧.૧૫ લાખ લોકો આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બન્યા છે.
વડાપ્રધાન હેલિપેડ પર ઉતર્યા ત્યારે તેમનું ભવ્ય અને પરંપરાગત શૈલીમાં સ્વાગત કરાયું. પરંપરાગત વસ્ત્રમાં સજ્જ ૧૧૦૦ બહેનો માથે કળશ મૂકીને તેમના આગમનને વધાવ્યું. ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ ‘નમો કમલમ’ પરિસરની મુલાકાત લીધી હતી અને અદ્યતન મીડિયા સેન્ટર અને ડિજિટલ કોલ સેન્ટરની કાર્યપ્રણાલીનું નિરીક્ષણ કર્યું હતું તથા આધુનિક લાઈબ્રેરીની પણ મુલાકાત લીધી હતી.









































