અમદાવાદ ખાતે હાઇકોર્ટનું કાર્ય ચાલતું હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને લાંબું અંતર કાપવું પડે છે. તેને ધ્યાનમાં રાખી રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ સ્થાપવાની માંગ વધુ મજબૂત બની રહી છે. ૨૫ જુલાઈએ રાજકોટમાં વિવિધ બાર એસોસિએશનના પ્રમુખોની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ ૨૯ જુલાઈએ એક દિવસ કોર્ટની કામગીરીથી અળગા રહી મામલતદાર અને પ્રાંત કચેરીઓમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા. તેના ભાગરૂપે વડિયા બાર એસોસિએશને પ્રમુખ ભીખુભાઈ વોરાની આગેવાનીમાં વડિયા મામલતદારને આવેદનપત્ર આપી રાજકોટમાં હાઇકોર્ટની બેન્ચ શરૂ કરવાની માંગ કરી હતી. હાઇકોર્ટ બેન્ચને કારણે સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને સમય અને આર્થિક ખર્ચમાં રાહત મળશે તેવી રજૂઆત કરવામાં આવી હતી.