વલસાડ જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદ અને હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને ખાસ કરીને દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં શરૂ કરવામાં આવ્યા છે. વલસાડ તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા ૬ ગામોના લોકોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર, વલસાડ જિલ્લામાં છેલ્લા એક કલાક દરમિયાન અતિભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અથવા સંભવિત પૂર જેવી Âસ્થતિ ઉભી થઈ શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેથી કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં ઝડપી કાર્યવાહી કરી શકાય.વલસાડ શહેરમાંથી પસાર થતી ઔરંગા નદીની સપાટી હાલ અંદાજે ૫ મીટર આસપાસ નોંધાઈ રહી છે. સામાન્ય રીતે નદીની સપાટી ૫.૫૦ મીટર અથવા તેનાથી વધુ થાય ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા વધી જાય છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે, પરંતુ આગામી કલાકોમાં વધુ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને નદીના પાણીના સ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે.
ગત સમયમાં જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, તેને ધ્યાનમાં રાખીને આ વખતે તંત્ર દ્વારા આગોતરી તૈયારી કરવામાં આવી છે. લોકોને જરૂર પડે ત્યારે ઝડપથી સુરક્ષિત સ્થળે પહોંચાડી શકાય તે માટે ટ્રેક્ટર તૈયાર રાખવામાં આવ્યા છે. જરૂરી વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે. આશ્રયસ્થાનો માટે તૈયારી રાખવામાં આવી છે.વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ અફવાઓ પર વિશ્વાસ ન કરે અને માત્ર તંત્ર દ્વારા આપવામાં આવતી અધિકૃત માહિતી અને સૂચનાઓનું પાલન કરે. હાલ વલસાડ જિલ્લામાં વરસાદી Âસ્થતિને પહોંચી વળવા માટે તમામ વિભાગો સજ્જ રાખવામાં આવ્યા છે.