દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ગુજરાત હાઇકોર્ટમાંથી રાહત મળી નથી. સ્વાસ્થ્યના કારણોસર ૨૦ દિવસના હંગામી જામીનની માગ સાથે કરવામાં આવેલી અરજીને હાઇકોર્ટે આ તબક્કે યોગ્ય ન ગણાવીને ફગાવી દીધી છે. કોર્ટના આ નિર્ણય બાદ આસારામનો જેલવાસ યથાવત રહેશે.આસારામ તરફથી હાઇકોર્ટમાં હંગામી જામીન માટે અરજી કરવામાં આવી હતી. અરજીમાં તેમની ઉંમર અને સ્વાસ્થ્યની સ્થિતિને ધ્યાનમાં લઈને સારવાર માટે ૨૦ દિવસની રાહત આપવાની માગ કરવામાં આવી હતી. આસારામના વકીલે કોર્ટ સમક્ષ તેમની તબિયત અને સારવારને ધ્યાનમાં રાખીને જામીન આપવા માટે રજૂઆતો કરી હતી. જાકે, હાઇકોર્ટે આ તબક્કે જામીન આપવાનું યોગ્ય ન હોવાનું માનીને અરજી ફગાવી દીધી છે.જામીન અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું કે હાલના તબક્કે આસારામને જામીન પર મુક્ત કરવા યોગ્ય જણાતું નથી. પરિણામે તેમને હંગામી જામીનની કોઈ રાહત મળી નથી. હાઇકોર્ટના આ નિર્ણયથી આસારામે જેલમાંથી બહાર આવવા માટે કરેલી તાત્કાલિક રાહતની માગને ફટકો પડ્યો છે.
ઉલ્લેખનીય છે કે સુરતની બે બહેનો દ્વારા નોંધાવવામાં આવેલા દુષ્કર્મના કેસમાં આસારામને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. હાલમાં તેઓ આ સજા ભોગવી રહ્યા છે. હવે ગુજરાત હાઇકોર્ટે ૨૦ દિવસના હંગામી જામીનની અરજી ફગાવી દેતાં આસારામને હાલ જેલમાં જ રહેવું પડશે. કોર્ટના આ નિર્ણય બાદ તેમની તરફથી આગળ કાયદાકીય રીતે કયા વિકલ્પો અપનાવવામાં આવે છે તેના પર પણ નજર રહેશે.









































