મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખાનગી વીજ કંપની સામે પૂરતું વળતર મેળવવાની માંગ સાથે ચાલી રહેલા ખેડૂત આંદોલન ને દિવસેને દિવસે વધુ સમર્થન મળી રહ્યું છે. આંદોલનના ૧૨મા દિવસે આમરણ ચોવીસી વિસ્તારના ખેડૂતો લગભગ ૧૦૦ ટ્રેક્ટર સાથે ઉપવાસી છાવણી ખાતે પહોંચ્યા હતા અને પોતાના હકો માટે લડી રહેલા ખેડૂતોને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો.
ખેડૂતો ખાનગી વીજ કંપની દ્વારા વીજપોલ માટે યોગ્ય વળતર ચૂકવવાની માંગ સાથે છેલ્લા ૧૨ દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. આજે મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલી સાથે ખેડૂતોના આગમનથી સમગ્ર વિસ્તારમાં આંદોલનને નવી ઊર્જા મળી હતી.
જેતપર ગામના માર્ગો ‘જય જવાન, જય કિસાન’ના નારાઓથી ગુંજી ઉઠ્યા હતા. ખેડૂતોએ એકતા દર્શાવી પોતાના અધિકારો માટેની લડત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આંદોલનને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના પરિવાર તરફથી પણ સમર્થન મળ્યું છે. છેલ્લા ૧૨ દિવસથી રાજ્યમંત્રીના નાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા ઉપવાસ પર બેઠા છે, જ્યારે આજે તેમના ભાઈ ભરતભાઈ અમૃતિયા પણ ઉપવાસી છાવણી ખાતે પહોંચ્યા હતા અને ખેડૂતોની માંગણીઓને સમર્થન આપ્યું હતું.
આ ઉપરાંત મોરબી જિલ્લા સરપંચ એસોસિએશનના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સરપંચો પણ જેતપર પહોંચ્યા હતા. તેમણે ખેડૂતોના આંદોલનને સમર્થન જાહેર કર્યું અને સરકાર સમક્ષ ખેડૂતોની માંગણીઓ પર યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી હતી.
આંદોલન દરમિયાન અદેપર ગામના સરપંચ જનકસિંહ ઝાલાએ મંચ પરથી સરપંચ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ ખેડૂત પુત્ર છે અને ખેડૂતોના હિત માટે આ નિર્ણય લીધો છે. તેમણે અન્ય સરપંચો સાથે મળીને મુખ્યમંત્રીને સંયુક્ત રાજીનામું મોકલવાનો નિર્ણય પણ જાહેર કર્યો હતો.
ખેડૂતોના સમર્થનમાં ઉપસ્થિત લોકોએ લોકકલાકારો હકાભા ગઢવી અને રાજભા ગઢવીનો પણ જાહેરમાં આભાર વ્યક્ત કર્યો હતો. આંદોલનને મળતા સતત વધતા સમર્થનને કારણે હવે આગામી દિવસોમાં સરકાર અને સંબંધિત કંપની શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.