હાલ કેન્દ્રીય કેબિનેટમાં ભારે ફેરબદલના એનધાણો જોવા મળી રહ્યા છે. જો કે કેન્દ્ર સરકાર તરફથી કોઈ સ્પષ્ટ જાણકારી અપાઈ નથી. એવું કહેવાય છે કે પીએમ મોદી હાલ વિદેશ પ્રવાસે છે અને ભારત પાછા ફર્યા બાદ મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે. આ દરમિયાન જો સૌથી વધુ કોઈ નામની ચર્ચા હોય તો છે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની. નીટ પેપર લીક અને સીબીએસઇ ડિજિટલ મા‹કગ સિસ્ટમ સહિત જે સમસ્યાઓ સર્જાઈ તેના કારણે બારે ઉહાપોહ થયો અને તેમના રાજીનામાની માંગણી થઈ રહી છે. એવા અહેવાલો છે કે ધર્મેન્દ્ર પ્રધાન પાસેથી શિક્ષણ મંત્રાલય લઈ લેવામાં આવી શકે.
૨૧ જુલાઈથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થવાની શક્યતા છે. અહેવાલો મુજબ તે પહેલા મોદી સરકાર કેબિનેટમાં ધરખમ ફેરફાર થઈ શકે છે. કેટલાક મંત્રીઓને ભાજપમાં સંગઠન સ્તરે જવાબદારી સોંપાઈ શકે છે અને તેમને બદલે યુવા નેતાઓને મંત્રીપદ મળી શકે છે. જો આમ થશે તો વર્ષ ૨૦૨૪ પછીની લોકસભા ચૂંટણી બાદ પહેલીવાર આ ફેરબદલ થશે. અત્રે જણાવવાનું કે હાલમાં જ તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને આમ આદમી પાર્ટીના બળવો પોકારેલા સાંસદોએ એનડીએને સમર્થન જાહેર કર્યું હતું. આગામી ૨થી ૩ દિવસમાં મહત્વની બેઠક થાય અને નિર્ણયો લેવાઈ શકે તેવા રિપોર્ટ્સ છે. આગામી સમયમાં પંજાબ, યુપી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગુજરાતમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને પણ આ ફેરબદલ થઈ શકે છે.
કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પાસેથી શિક્ષણ મંત્રાલય લઈ લેવામાં આવી શકે. સંઘ અને વિદ્યાર્થી પરિષદના બેકગ્રાઉન્ડવાળા ધર્મેન્દ્ર પ્રધાન ૨ વાર રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે અને હાલ ઓડિશાના સંભલપુરથી લોકસભા સાંસદ છે. જુલાઈ ૨૦૨૧થી તેઓ શિક્ષણમંત્રી છે. છેલ્લા ૧૨ વર્ષથી તેઓ મોદી સરકારમાં મંત્રીપદ સંભાળી રહ્યા છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના સ્થાને અન્યને મળી શકે પદ. કર્ણાટકથી આવતા નિર્મલા સીતારમણ ૨૦૧૪થી રાજ્યસભા સાંસદ છે. ૨૦૧૭માં તેઓ રક્ષામંત્રી બન્યા હતા અને ૨૦૧૯થી નાણા અને કોર્પોરેટ મામલાઓના મંત્રી છે. તેમનું મંત્રાલય બદલાઈ શકે છે.
મોદી સરકાર સામે અનેકવાર બોલ્ડ નિવેદનો આપનારા કેન્દ્રીય હાઈવે ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીનું મંત્રીપદ બદલાઈ શકે.
પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીની જગ્યાએ પંજાબના કોઈ દિગ્ગજ શીખ નેતાને પણ મંત્રી બનાવવામાં આવી શકે.
આ ઉપરાંત અહેવાલ મુજબ એવી પણ અટકળ થઈ રહી છે કે ૬ રાજ્યમંત્રી પણ બદલાઈ શકે છે.
મનોહરલાલ ખટ્ટર, રવનીત સિંહ બિટ્ટુ યાદીમાં સામેલ હોવાના અહેવાલો છે.
જેમનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે તેમાં હાલમાં આપમાંથી ભાજપમાં જોડાયેલા રાઘવ ચડ્ઢાનું પણ નામ સામેલ થઈ શકે છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર અને હાલ પીએમ મોદીના મુખ્ય સચિવ શક્તિકાંત દાસનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. મોદી કેબિનેટમાં મોટું પદ મળી શકે છે. કદાચ નાણા મંત્રાલય પણ તેમને મળી શકે. બિહારના પૂર્વ સીએમ નીતિશકુમાર, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે, ટીએમસી છોડી ચૂકેલા સુખેન્દુ શેખર રોય જેવા નેતાઓને પણ મહત્વ મળી શકે છે. નીતિન ગડકરી જેવા વરિષ્ઠ નેતાઓને સંગઠનની જવાબદારી પણ સોંપાઈ શકે અને તેમની જગ્યાએ યુવા નેતાઓને મંત્રીમંડલમાં સ્થાન મળે તેવી શક્્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.સૂત્રો મુજબ સરકારના ટોચના અધિકારીઓ વચ્ચે એવો મત પ્રબળ બની રહ્યો છે કે મહત્વના મંત્રાલયોમાં નવા ચહેરાને સામેલ કરવાની જરૂર છે. આ ઉપરાંત ક્ષેત્રીય, રાજ્યવાર, જાતીય અને રાજનીતિક નિષ્ઠા સંલગ્ન સમીકરણોને ધ્યાનમાં રાખીને મંત્રી મંડળમાં સંતુલન જાળવી રાખવાની રાજકીય મજબૂરીઓ પણ છે.









































