અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રથયાત્રા રૂટ પર બે જૂથ વચ્ચે થયેલી અથડામણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. ઘટનામાં બંને પક્ષે એકબીજા સામે હુમલો, તોડફોડ અને ધમકી આપવાના આક્ષેપો સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક માહિતી મુજબ, દરિયાપુરના દાંડીયાવાડ વિસ્તારમાં બે યુવકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. સ્થાનિક લોકોના હસ્તક્ષેપથી મામલો તે સમયે શાંત થઈ ગયો હતો, પરંતુ બાદમાં જૂની અદાવતને કારણે બંને પક્ષ વચ્ચે ફરી તણાવ સર્જાયો હતો.
આક્ષેપ મુજબ, એક પક્ષના લોકો બીજા પક્ષના ઘરે પહોંચ્યા બાદ ફરી બોલાચાલી થઈ હતી. મહિલાઓ વચ્ચે પણ તકરાર થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં એક મહિલાને ઈજા થતાં સારવાર માટે હોÂસ્પટલમાં ખસેડવામાં આવી હતી.
સાંજના સમયે પોળમાં ચાલી રહેલા જમણવાર દરમિયાન બંને જૂથ ફરી સામસામે આવી ગયા હતા. બંને પક્ષે એકબીજા પર દંડા અને અન્ય સાધનો વડે હુમલો કરવાનો તેમજ વાહનોમાં તોડફોડ કરવાનો આરોપ લગાવ્યો છે. ઘટનાના પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક લોકો એકબીજા તરફ પથ્થરો ફેંકતા જાવા મળતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જાકે, પોલીસમાં નોંધાયેલી પ્રાથમિક ફરિયાદોમાં પથ્થરમારાનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. જેના કારણે સ્થાનિકોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકોએ વાયરલ વીડિયોની નિષ્પક્ષ તપાસ કરીને જા કોઈ ગેરકાયદેસર કૃત્ય થયું હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, બંને પક્ષની ફરિયાદો ઉપરાંત વાયરલ વીડિયો અને અન્ય ઉપલબ્ધ પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જે હકીકતો સામે આવશે તેના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રથયાત્રા પહેલાં જૂના શહેર વિસ્તારમાં બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાને લઈને ચર્ચા જગાવી છે. હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તેના પર સૌની નજર છે.