સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ઓનલાઈન હાજરી પ્રણાલીના કડક અમલ બાદ ૫૫૦થી વધુ શિક્ષકોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. રાજ્ય સરકારના ડિજિટલ શિક્ષણ અભિયાન હેઠળ અમલમાં મુકાયેલી જીપીએસ આધારિત ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમમાં નિયમિત હાજરી નોંધાઈ ન હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું શિક્ષણ સમિતિના સૂત્રોએ જણાવ્યું છે.
શિક્ષણ સમિતિએ ૮ જૂનથી ૯ જુલાઈ, ૨૦૨૬ દરમિયાનના ઓનલાઈન હાજરીના રેકોર્ડની સમીક્ષા કરી હતી. તપાસમાં ૫૫૮ શિક્ષકોની એક અથવા વધુ દિવસની ઓનલાઈન હાજરી નોંધાઈ ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તમામ શિક્ષકોને સત્તાવાર કારણદર્શક નોટિસ પાઠવી લેખિત સ્પષ્ટતા માંગવામાં આવી છે. ખુલાસો આપવા માટે મર્યાદિત સમય પણ આપવામાં આવ્યો હતો.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાના જણાવ્યા મુજબ, નવી એટેન્ડન્સ સિસ્ટમ સંપૂર્ણપણે જીપીએસ લોકેશન આધારિત છે. શિક્ષક શાળાના કેમ્પસમાં હાજર હોય અને તેમનું લાઈવ લોકેશન સિસ્ટમમાં ચકાસાય ત્યારે જ હાજરી માન્ય ગણાય છે. આ વ્યવસ્થા દ્વારા શાળામાં હાજર રહ્યા વગર અન્ય સ્થળેથી હાજરી નોંધાવવાની શક્્યતા સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે.
નોટિસ મેળવનારા ઘણા શિક્ષકોએ પોતાના બચાવમાં ટેકનિકલ કારણો રજૂ કર્યા છે. કેટલાક શિક્ષકોનું કહેવું છે કે અંતરિયાળ વિસ્તારોની શાળાઓમાં મોબાઈલ નેટવર્કની સમસ્યા રહે છે, જ્યારે કેટલાકે સરકારના ઓનલાઈન પોર્ટલમાં સર્વર ડાઉન અથવા ટેકનિકલ ખામીના કારણે સમયસર હાજરી નોંધાઈ ન હોવાનું જણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ તેઓ શાળામાં હાજર હતા, પરંતુ સિસ્ટમમાં હાજરી અપલોડ થઈ શકી નહોતી.
રાજ્ય સરકારના સર્વ શિક્ષા અભિયાન સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર દ્વારા રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરીનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવે છે. સુરતની કેટલીક શાળાઓમાં હાજરી સંબંધિત ગેરમિલ જાવા મળતાં ગાંધીનગરથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, જેના આધારે સ્થાનિક શિક્ષણ સમિતિએ કાર્યવાહી હાથ ધરી છે.
શિક્ષણ સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે યોગ્ય અને સંતોષકારક ખુલાસો રજૂ નહીં કરનારા શિક્ષકો સામે નિયમો મુજબ વિભાગીય કાર્યવાહી થઈ શકે છે. જરૂર જણાય તો પગાર કપાત સહિતના વહીવટી પગલાં પણ લેવામાં આવી શકે છે. જાકે, શિક્ષક સંગઠનોએ ટેકનિકલ ખામીના કારણે કોઈ નિર્દોષ શિક્ષક સામે અન્યાય ન થાય તેની પણ માંગ કરી છે.
હાલ શિક્ષણ સમિતિ દ્વારા તમામ શિક્ષકો પાસેથી મળેલા ખુલાસાઓની તપાસ ચાલી રહી છે. જ્યાં ખરેખર ટેકનિકલ સમસ્યા અથવા નેટવર્કની અડચણ હશે, ત્યાં તે અંગે ટેકનિકલ ટીમનો અભિપ્રાય લેવામાં આવશે. તંત્રનું કહેવું છે કે ડિજિટલ હાજરી પ્રણાલીનો મુખ્ય હેતુ શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા વધારવાનો અને શિક્ષકોની નિયમિત હાજરી સુનિશ્ચિત કરવાનો છે.








































