લીલીયા મોટા પોલીસ સ્ટેશન ખાતે પ્રજાની સમસ્યાઓનું ઝડપી અને સંતોષકારક નિરાકરણ આવે તે હેતુથી એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના મુજબ યોજાયેલ આ બેઠકમાં ડીવાયએસપી વિરલ ચંદન અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા. આ પ્રસંગે પી.એસ.આઈ. એચ.એમ. અગ્રાવત પણ ઉપસ્થિત રહ્યા હતા. વિસ્તારમાંથી મોટી સંખ્યામાં અરજદારો હાજર રહ્યા હતા અને પોતાની ફરિયાદો તેમજ પ્રશ્નોની રજૂઆત કરી હતી. ડીવાયએસપી વિરલ ચંદને તમામ અરજદારોની વાત ધ્યાનથી સાંભળી હતી અને યોગ્ય પ્રશ્નોના કાયદેસર નિવારણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. પી.એસ.આઈ. અગ્રાવતે પણ સ્થાનિક સ્તરે લોકોની મુશ્કેલીઓ દુર કરવા પોલીસ તરફથી પુરતો સહયોગ આપવાની ખાતરી આપી હતી. કાર્યક્રમને અરજદારો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો.