અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા ખંઢેરા હનુમાન મંદિરના પૂજારી કમળાપ્રસાદ બાબુલાલ ચૌહાણ જેઓ ‘ગોમતીબાપ’ તરીકે જાણીતા છે સંપર્કવિહોણા થવાના મામલે મોટી રાહત થઈ છે. સરકારી તંત્રના જણાવ્યા અનુસાર, તેઓ નેપાળના જનકપુરી ખાતે સંપૂર્ણપણે સહી-સલામત મળી આવ્યા છે. ગોમતીબાપુ ગત ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ જાફરાબાદથી અયોધ્યા દર્શનાર્થે નીકળ્યા હતા. ત્યાંથી તેઓ પોતાના જૂથ સાથે નેપાળ જવાના હતા. જોકે, ૧૧ ઓગસ્ટના રોજ અમદાવાદ પહોંચ્યા બાદ તેમનો મોબાઈલ સંપર્ક તૂટી ગયો હતો. દરમિયાન નેપાળમાં સર્જાયેલી દુર્ઘટના બાદ સ્થાનિક સરકારી રેકોર્ડમાં ગુમ થયેલા લોકોની યાદીમાં તેમનું નામ ૨૦મા ક્રમાંકે નોંધાતાં ભક્તો અને પરિવારજનોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ હતી. ચિંતાજનક સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ અને શોધખોળ બાદ તેઓ જનકપુરીમાં હોવાની પુષ્ટિ થઈ છે. પૂજારી હેમખેમ મળી આવતા તેમના અનુયાયીઓ અને પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.








































