કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભુજમાં સરહદ ચોકી જી-૭નું ઉદ્દઘાટન કર્યું હતું અને બીએસએફ જવાનો સાથે વાતચીત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, “ક્યાંરેક દુર્ગમ રણમાં અને ક્્યારેક રાજસ્થાનમાં ૫૦ ડિગ્રી તાપમાનમાં પણ તમારે કામ કરવું પડે છે…આ માત્ર ભારત સરકાર જ નહીં ૧૪૦ કરોડની જનતા બીએસએફ પ્રત્યે સમ્માન ધરાવે છે અને તમારા કારણે જ સારી રીતે ઊંઘી શકે છે.”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બીએસએફ જવાનોને સંબોધતા તેમની પ્રશંસા કરી હતી અને તેમના કઠિન પરિસ્થિતિમાં કામ કરવાની કામગીરીને બીરદાવી હતી. અમિત શાહે જણાવ્યું કે, બીએસએફએ સ્થાપનાથી લઇને અત્યાર સુધી બે સૌથી મોટી કઠિન સરહદની સુરક્ષાની જવાબદારી ઉઠાવી છે. એક પાકિસ્તાનની સરહદ અને બીજી બાંગ્લાદેશની સરહદ. આ સરહદો વચ્ચે એટલું મોટું અંતર છે કે બીએસએફના જવાનોએ રિટાયર્ડ થતા થતા માઇનસ ૪૫ ડિગ્રીથી લઇને પ્લસ ૫૦ ડિગ્રી સુધી દરેક સ્થિતિનો મુકાબલો કરવો પડે છે. ક્યાંરેક કચ્છનું દુર્ગમ રણ હોય, સરક્રિક અને હરામી નાળાની દલદલ જમીન હોય, રાજસ્થાનમાં રણ વચ્ચે ૫૦ ડિગ્રી તાપમાન વચ્ચે કામ કરવું પડે છે.”
કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે, “હું સાંચુ ગયો હતો ત્યારે કેમ્પ પર પહોંચ્યો ત્યારે ૪૬ ડિગ્રી તાપમાન હતું. કાશ્મીરના બરફના પહાડો, સુંદરવનના જંગલ, ગંગા સાગરના કિનારાથી લઇને મેઘાલય અને આસામના પહાડી અને વન ક્ષેત્ર સુધી બીએસએફે છ દાયકામાં ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સનું પોતાનું દાયિત્વ સારી રીતે ઉઠાવ્યું છે, નીભાવ્યું છે અને તેના માટે ૨૦૦૦ જવાનોએ પોતાનું સર્વોચ્ચ બલિદાન પણ આપ્યું છે. તમારા કારણે જ ભારત સરકાર, ૧૪૦ કરોડની દેશની જનતા હંમેશા બીએસએફ પ્રત્યે પોતાનો અહોભાવ રાખે છે, સન્માન રાખે છે અને આરામથી ઊંઘી શકે છે.”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “અહીંથી કેટલાક કિલોમીટર દૂર બનાસકાંઠામાં તમારી કઠિન ડ્યુટી, જનતાના પરિચય માટે સેન્ટર બનાવવામાં આવ્યું છે. ૨૦૦ કરોડના ખર્ચે આ સેન્ટર બન્યું છે. આજે એક મહિનામાં લગભગ અઢી લાખથી વધુ ગુજરાતની જનતા ત્યા જઇને બીએસએફની ડ્યુટીનો પરિચય મેળવે છે. શરૂઆતમાં છ મહિના સુધી ત્યા ફિડબેક ફોર્મ અને બીએસએફ વિશે જનતા શું માને છે તેનો જનમત સંગ્રહ કરાવ્યો હતો. તમને આશ્ચર્ય થશે કે કેટલીક માતાઓએ ફોર્મમાં લખ્યુ કે, અમારા દીકરા-દીકરી મોટા થઇને બીએસએફમાં જાય તો અમને ગર્વ થશે.”










































