રાજુલા તાલુકા અને શહેર ભાજપ પરિવાર દ્વારા રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાનો પ્રારંભ આંબેડકર સર્કલથી થયો હતો અને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રાજુલા નગરપાલિકા ખાતે પૂર્ણ થઈ હતી. યાત્રા દરમિયાન “વંદે માતરમ”, “ભારત માતા કી જય” અને “જય ગરવી ગુજરાત”ના નારાથી શહેર ગુંજી ઉઠ્યું હતું. યાત્રામાં સરકારી અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, યુવાનો, મહિલાઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. ડી.વાય.એસ.પી. અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ટ્રાફિક અને સુરક્ષાની વ્યવસ્થા સંભાળી હતી.







































