અમરેલીમાં દલિત સમાજના વિવિધ પડતર પ્રશ્નોને લઈને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો એકત્ર થયા હતા. સૌપ્રથમ કલેક્ટરને રૂબરૂ મળીને વિવિધ માંગણીઓ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ રેલી સ્વરૂપે એસપી કચેરી સુધી પહોંચી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પ્રદર્શન દરમિયાન દલિત સમાજે વિવિધ કેસોમાં ન્યાય અને પ્રશાસનની કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો.
રજૂઆત દરમિયાન અમરેલી તાલુકાના આંકડિયા ગામમાં થયેલી મારામારીની ઘટનાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. બંને પક્ષ સામે ગુના નોંધાયા હોવા છતાં પોલીસની કાર્યવાહી અંગે દલિત સમાજે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત ટોચ મર્યાદા કાયદા હેઠળ દલિત ખેડૂતો અને ખેતમજૂરોને ફાળવાયેલી અંદાજે પાંચ હજાર એકર જમીનની માપણી, જમીન પર દબાણના આક્ષેપો તેમજ અન્ય અનેક પ્રશ્નો અંગે પણ કલેક્ટર અને પોલીસ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આરોપ લગાવ્યો કે સમાન પ્રકારના કેસોમાં અલગ-અલગ સમાજના લોકો સાથે પોલીસનું વર્તન એકસરખું નથી. તેમણે દાવો કર્યો કે કેટલાક લોકોને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જાય છે, જ્યારે અન્ય લોકો સાથે અલગ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. તેમણે બાકી રહેલા આરોપીઓને પણ કાયદા મુજબ સમાન સુવિધા આપવાની માંગ કરી હતી.
જીગ્નેશ મેવાણીએ કસ્ટોડિયલ મૃત્યુના એક જૂના કેસનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે પીડિત પરિવારને ખેતીની જમીન આપવાની અગાઉની ખાતરીનો હજુ સુધી અમલ થયો નથી. સાથે જ દલિત પરિવારોને ફાળવાયેલી જમીનના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે પણ પ્રશાસન સમક્ષ માંગણી કરવામાં આવી હતી.
જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે આગામી ૨૪થી ૪૮ કલાકમાં માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ૧૫ ઓગસ્ટે યોજાનારા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો સાથે પહોંચી વિરોધ નોંધાવવામાં આવશે. તેમણે કહ્યું કે જમીન, કાયદો-વ્યવસ્થા અને અન્ય પ્રશ્નો સીધા મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે. સાથે જ તેમણે ચેતવણી આપી કે જા વિરોધ દરમિયાન કોઈ અણધારી સ્થિતિ સર્જાશે તો તેની જવાબદારી જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્રની રહેશે.








































