સાવરકુંડલાથી પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ પર આવેલ માનવ મંદિર આશ્રમ ખાતે સારવાર લઈ રહેલી ૧૩૨મી મનોરોગી બહેન સંપૂર્ણ સ્વસ્થ થતા, તેના પિતા માનવ મંદિર આવીને દીકરીને આદરપૂર્વક તેડી ગયા હતા.
ભક્તિરામ બાપુની નિશ્રામાં છેલ્લા ૧૩ વર્ષથી આ આશ્રમ કાર્યરત છે, જ્યાં દવા, દુવા અને હવાના માધ્યમથી મનોરોગી બહેનોની સેવા કરવામાં આવે છે. આ આશ્રમમાં કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી કે ફાળો ઉઘરાવવામાં આવતો નથી. જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર, પોલીસ જે બહેનોને અહીં મૂકવા આવે છે તેમને આશ્રય આપી ઉદ્ધાર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ૧૩૨ બહેનો સાજી થઈને પોતાના પરિવાર સાથે પુનઃસ્થાપિત થઈ છે.








































