સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલી પવિત્ર કબીર ટેકરી આશ્રમ ખાતે તાજેતરમાં એક પ્રેરણાદાયી માનવ સેવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સદ્દગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ, લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટી અને નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સંચાલિત સુદર્શન નેત્રાલય હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આ વિનામૂલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી મોતિયાના ઓપરેશન કેમ્પ સંપન્ન થયો હતો. આ કેમ્પનો મંગલ પ્રારંભ આશ્રમના આદરણીય મહંત નારણદાસ સાહેબ તથા અરુણલાલ સાહેબના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ સેવાકીય પ્રવૃત્તિ સાવરકુંડલા શહેર અને તેની આજુબાજુના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ હતી. કેમ્પ દરમિયાન નિષ્ણાત તબીબો દ્વારા કુલ ૭૨ જેટલા દર્દીઓની આંખના વિવિધ રોગોની ઓપીડી તપાસ કરવામાં આવી હતી.










































