નિર્માણાધીન પ્રોજેક્ટ્સની ગુણવત્તા પર ફરી એકવાર સવાલો થઈ રહ્યા છે. વલસાડના કલ્યાણ બાગ વિસ્તારમાં બની રહેલી નવી પાણીની ટાંકીના સ્લેબનું કામકાજ ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક સેંટિંગ મટીરીયલનો ભાગ ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર છતી થઈ છે.
વલસાડ નગરપાલિકા દ્વારા કલ્યાણ બાગ વિસ્તારમાં પાણીની નવી ટાંકીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. શિડ્યુલ મુજબ કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક ઉપરનો ભાગ નીચે ખાબક્્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.
આ મામલો સામે આવતાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસ તેમજ યુથ કોંગ્રેસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા. પોલીસે વિરોધ કરી રહેલ કાર્યકર્તાઓની ડીટેન કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
ઘટનાને લઈ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, ખુલ્લેઆમ ભ્રષ્ટાચારને લીધે બ્રિજ તૂટે છે, રસ્તાઓ પર ખાડા પડે છે, ઉદ્ધાટન પહેલા બ્રિજ બેસી જાય છે, પાણીની ટાંકીઓ તૂટી છે. રોજ એવા કિસ્સાઓ આપણી સામે આવે છે.









































