ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ભારે ગરમાવો આવી ગયો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ અને હાઈપ્રોફાઈલ બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત ભાજપના ટોચના નેતાઓ અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયની રાજકીય વ્યૂહરચના અને સંગઠનાત્મક ફેરફારોને લઈને આ બેઠક ખૂબ જ નિર્ણાયક માનવામાં આવી રહી છે.
કમલમ ખાતે યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ મહામંત્રી રત્નાકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, મહામંત્રીઓ અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ, અજય બ્રહ્મભટ્ટ, હિતેન્દ્ર ચૌહાણ અને ભાજપના પીઢ નેતા સુરેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજ આગેવાનો પણ આ મંથનમાં જાડાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીના આગમનને પગલે કમલમ પ્રીમાઇસીસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ બેઠકનો મુખ્ય એજન્ડા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરને રાજ્યભરમાં યાદગાર બનાવવાનો છે. ભાજપ આ ઉજવણીને ભવ્ય જનસંપર્ક અભિયાનમાં બદલવાની તૈયારી કરી રહ્યું છે. લોકસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પક્ષને મળેલી પ્રચંડ જીત બાદ, હવે છેવાડાના માનવી સુધી પહોંચવા અને પાયાના સ્તરે સંગઠનને વધુ લોકભોગ્ય તેમજ મજબૂત બનાવવા માટેની વિશેષ કાર્યક્રમ રૂપરેખા આ બેઠકમાં તૈયાર કરવામાં આવી છે.
આ બેઠકમાં આગામી સમયમાં ગુજરાતમાંથી ખાલી પડનારી રાજ્યસભાની ચાર બેઠકો પર પણ ગંભીર વિચારણા કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે. આ બેઠકો માટે સંભવિત ઉમેદવારોના નામોની પેનલ, જ્ઞાતિગત સમીકરણો અને રાજકીય લાયકાત અંગે ભાજપ હાઈકમાન્ડ દ્વારા ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી છે. સ્થાનિક ચૂંટણીઓના પરિણામોની સમીક્ષા સાથે સંગઠનના આગામી કાર્યક્રમોની રાજકીય દિશા પણ આ બેઠકમાં નક્કી કરવામાં આવી છે.
રાજકીય નિષ્ણાતોના મતે, અમિત શાહની હાજરીમાં લેવાયેલા આ નિર્ણયો આગામી દિવસોમાં ગુજરાતના શાસન અને સંગઠન બંને સ્તરે મોટી અસર બતાવશે. પક્ષના કાર્યકરોમાં પણ આ ઉચ્ચ સ્તરીય મુલાકાતને પગલે નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.










































