છોટાઉદેપુરના ઘેલવાંટ આશ્રમશાળા નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. તેમા એકનું મોત થયું હતું અને એકને ઇજા થઈ હતી. તેમા સિમેન્ટના થાંભલા ભરેલા ટ્રકે ટ્રેક્ટરને અડફેટે લીધુ હતુ અને આખી ટ્રક ટ્રેક્ટર પર ચઢી ગઈ હતી. ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. પિતા-પુત્ર ડીઝલ લેવા ટ્રેક્ટર લઈને જતાં હતા ત્યારે આ ઘટના બની હતી. આ અકસ્માતમાં પુત્રનું ઘટનાસ્થળે મોત થયુ હતુ અને પિતા ગંભીર રીતે ઇજા પામ્યા છે અને જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
અક્સ્માત સર્જાવાના પગલે લોકોના ટોળેટોળા વળી ગયા હતા. લોકોએ ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો અને બરોબરનો મેથીપાક આપ્યો હતો. તેઓએ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપી હતી અને તેના માટે ૧૦૮ને બોલાવી હતી. આમ છતાં ટ્રેક્ટર ચાલક પિતાના પુત્રને બચાવી શકાયો ન હતો અને તેણે ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા.
આ બનાવની જાણ થતાં તરત જ પોલીસ દોડી આવી હતી. પોલીસે પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને પિતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી દીધી છે. ડ્રાઇવરને અટકાયતમાં લેવામાં આવ્યો છે. પોલીસે અકસ્માતની વિગતવાર જાણકારી મેળવવા માટે સીસીટીવી ફૂટેજ ચકાસવાના શરૂ કર્યા છે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તે પણ ચકાસી રહી છે.
માલધી ગામના રહેવાસી ઈશ્વરભાઈ રાઠવા પોતાના પુત્ર અંકિત રાઠવા સાથે ટ્રેક્ટર લઈને ડીઝલ ભરાવવા છોટાઉદેપુર જઈ રહ્યા હતા. તે દરમિયાન ઘેલવાંટ આશ્રમશાળા નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી.
અકસ્માતમાં અંકિત રાઠવાને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પિતા ઈશ્વરભાઈ રાઠવા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે છોટાઉદેપુર ખાતેની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.
અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજા મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તેમજ અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાના પ્રાથમિક તારણો સામે આવ્યા છે, જાકે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે આ અકસ્માતને પગલે થોડા સમય માટે માર્ગ પર વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વાહન વ્યવહારને પુનઃ શરૂ કરાવ્યો હતો. ઘટનાને લઈને માલધી ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. યુવાન પુત્રના અચાનક મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.








































