પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૫ જૂન, ૨૦૨૬ના રોજ ગુજરાત અને દમણની મુલાકાત લેશે. બપોરે આશરે ૨ઃ૩૦ વાગ્યે, પ્રધાનમંત્રી સુરત જિલ્લાના હજીરાની મુલાકાત લેશે અને ત્યાં ચાલી રહેલી ઔદ્યોગિક કામગીરી તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સની સમીક્ષા કરશે. બપોરે આશરે ૪ઃ૧૫ વાગ્યે, પ્રધાનમંત્રી સુરતમાં આશરે ૧૮,૮૦૦ કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી દમણ જશે, જ્યાં સાંજે આશરે ૬ઃ૧૫ વાગ્યે તેઓ દમણમાં નમો એરપોર્ટના ન્યૂ ટર્મિનલ બિલ્ડીન્ગનું ઉદ્ઘાટન કરશે. આ પછી દમણમાં નમો હોસ્પીટલ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. ત્યારબાદ, સાંજે આશરે ૭ઃ૧૫ વાગ્યે, પ્રધાનમંત્રી દમણમાં આશરે ૨,૯૭૦ કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન, સમર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ માટે આશરે ૮૮૫ કરોડના ચાર મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્‌સનો શિલાન્યાસ પણ કરશે. તેઓ આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને પણ સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી સુરતમાં માર્ગ, ઊર્જા અને ઔદ્યોગિક ક્ષેત્રે ૧૮,૮૦૦ કરોડથી વધુના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પણ અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના પેકેજ ૧ અને ૨ રાષ્ટ્રને સમર્પિત કરશે, જેનાથી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે હાઈ-સ્પીડ ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટીક્સ કાર્યક્ષમતા અને આર્થિક કનેક્ટીવીતી વધશે. પ્રધાનમંત્રી મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સનો શિલાન્યાસ કરશે, જેમાં આદિવાસી વિસ્તારોમાં કનેક્ટીવિટી વધારવા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચ ઝડપી બનાવવા માટે એનએચ-૫૬ પરના મહત્વપૂર્ણ સેક્શન્સને ફોર-લેન (ચાર માર્ગીય) કરવાની કામગીરી સામેલ છે.
પ્રધાનમંત્રી સુરતમાં ૨૦૦ બેડની ઇએસઆઇસી હોસ્પીટલનું પણ ઉદ્ઘાટન કરશે, જે સેન્ટ્રલ લેબોરેટરી અને આવશ્યક આનુષંગિક સેવાઓ દ્વારા સમર્થિત મુખ્ય વિશેષતાઓ સાથે આધુનિક ગૌણ આરોગ્યસંભાળ પ્રદાન કરશે. તેમાં વ્યાવસાયિક ઇજાઓ અને તબીબી કટોકટીના સમયસર સંચાલનને સુનિશ્ચિત કરવા માટે ૨૪/૭ ઇમરજન્સી અને ટ્રોમા કેરની સુવિધા પણ છે. પ્રધાનમંત્રી આંતર-રાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ હેઠળ પાવર ઇવેક્યુએશન (વીજ નિકાસ) ક્ષમતા વધારવા માટે ગુજરાતમાં ટ્રાન્સમિશન નેટવર્ક એક્સપેન્શન (વીજ વિતરણ નેટવર્ક વિસ્તરણ) સહિતના કટોકટીના ઉપયોગિતા અને ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી ગુજરાત સરકારની કેટલીક મહત્વપૂર્ણ પહેલોનું પણ ઉદ્ઘાટન કરશે, જેમાં વલસાડમાં રિવેમ્પ્ડ રિફોર્મ્સ-બેઝ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ હેઠળ આધુનિક પાવર ડિસ્ટ્રીબ્યુશન અપગ્રેડ, દહેજ પેટ્રોલિયમ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રીજન અને સરીગામ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ ખાતે અદ્યતન ઇફ્લુઅન્ટ ડિસ્પોઝલ અને ટ્રીટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (સામાન્ય પ્રદૂષિત પાણીના નિકાલ અને શુદ્ધિકરણ માળખું) અને જંબુસર બલ્ક ડ્રગ પાર્ક ખાતે આવશ્યક લેઆઉટ યુટિલિટીઝનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી દમણમાં આશરે ૨,૯૭૦ કરોડના વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પણ અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્‌સ હેલ્થકેર, સિવિલ એવિએશન (નાગરિક ઉડ્ડયન), પ્રવાસન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટીવિટી અને જનકલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલા છે અને તેનાથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના એકંદર વિકાસને મોટો વેગ મળવાની અપેક્ષા છે.
પ્રધાનમંત્રી દમણમાં નમો એરપોર્ટના ન્યૂ ટર્મિનલ બિલ્ડીંગ અને નમો હોસ્પીટલ સહિત આશરે ૧,૩૪૦ કરોડના પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન અને સમર્પણ કરશે. નવું એરપોર્ટ ટર્મિનલ પ્રાદેશિક હવાઈ કનેક્ટીવિટીમાં નોંધપાત્ર વધારો કરશે અને પ્રદેશમાં આર્થિક વૃદ્ધિને સરળ બનાવશે. દમણ જિલ્લાની જિલ્લા હોસ્પીટલ એવી નમો હોસ્પીટલને દરરોજ આશરે ૧,૫૦૦ ઓપીડી દર્દીઓની સારવાર માટે વિકસાવવામાં આવી છે અને તે લોકો માટે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓની પહોંચને મજબૂત બનાવશે.
પ્રધાનમંત્રી આશરે ૧,૬૩૦ કરોડના પ્રોજેક્ટ્‌સનો શિલાન્યાસ પણ કરશે. આ મુખ્ય પ્રોજેક્ટ્‌સમાં આઇકોનિક બ્રિજ, દમણ કન્વેન્શન સેન્ટર અને દમણ ખાતે નિફ્ટ કેમ્પસ વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્‌સ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરશે, પ્રવાસનને વેગ આપશે, રોકાણને પ્રોત્સાહન આપશે, રોજગારીની તકો ઊભી કરશે અને લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરશે તેવી અપેક્ષા છે.
પ્રધાનમંત્રી કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ માટે આશરે ૮૮૫ કરોડના મહત્વના પ્રોજેક્ટ્‌સનો શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેક્ટ્‌સમાં કલ્પેની ટાપુ અને કદમત ટાપુ બંનેની પૂર્વ અને પશ્ચિમ બાજુએ પોર્ટ (બંદર) સુવિધાઓનો વિકાસ સામેલ છે. આ બહુહેતુક જેટીઓનો વિકાસ ૩૦૦ મીટર સુધીની લંબાઈ ધરાવતા ક્રૂઝ જહાજા સહિત મોટા પેસેન્જર જહાજાને આખું વર્ષ લાંગરવાની સુવિધા પૂરી પાડશે. આ પ્રોજેક્ટ્‌સ મુસાફરો અને કાર્ગોનું સલામત અને કાર્યક્ષમ સંચાલન સક્ષમ બનાવશે, અને માછલીના સંચાલન, બળતણ વિતરણ, બરફ પુરવઠો અને બોટ સમારકામ માટે સંકલિત સુવિધાઓ પૂરી પાડશે. આ પહેલો દરિયાઈ કનેક્ટીવિટી મજબૂત કરશે, સ્થાનિક માછીમારોની આજીવિકાને ટેકો આપશે, પ્રવાસનને પ્રોત્સાહન આપશે અને ટાપુઓના સામાજિક-આર્થિક વિકાસમાં યોગદાન આપશે.