દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના ખરાવડ વિસ્તારમાં એક હૃદયવિદારક ઘટના સામે આવી છે, જેમાં રખડતા શ્વાને ૫ વર્ષના નિર્દોષ બાળક વિરાજ ઠાકરે પર હુમલો કરી તેનું કરૂણ મૃત્યુ નિપજાવ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ગાઢ શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
મૃતક વિરાજ ઠાકરે પરપ્રાંતીય મજૂર પરિવારનો હતો. પરિવાર ખરાવડ વિસ્તારમાં મજૂરી કરીને જીવન નિર્વાહ કરતો હતો. ઘટના સમયે વિરાજ ઘરની નજીક રમી રહ્યો હતો, ત્યારે અચાનક રખડતા શ્વાને તેના પર હુમલો કર્યો અને ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી.
બાળકની ચીસો સાંભળીને પરિવારજનો અને આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા અને તેને બચાવવાનો પ્રયાસ કર્યો. ગંભીર હાલતમાં વિરાજને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું દુઃખદ અવસાન થયું.આ બનાવથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં ભારે રોષ સાથે દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિક લોકો દ્વારા રખડતા શ્વાનોના વધતા આતંક સામે રોષ વ્યક્ત કર્યો છે.
આ પહેલા સુરતના લસકાણા વિસ્તારમાં રખડતા શ્વાનોના ઝુંડે સાડા ત્રણ વર્ષના બાળકને ફાડી ખાધુ હતું . માસૂમ બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને માથા અને શરીરના ભાગે ૩૦ થી વધુ ટાંકા આવ્યા હતા.મળતી માહિતી મુજબ, લસકાણાના વાલક પાટિયા પાસે આવેલ ‘કરૂણેશ હોમ ગ્રીન વેલી’માં વોચમેન તરીકે ફરજ બજાવતા હિમલ બાયકનો ૩.૫ વર્ષનો પુત્ર ગણેશ સવારે ઘર પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક ૪ થી ૫ હિંસક શ્વાનોનું ઝુંડ ત્યાં ધસી આવ્યું હતું અને માસૂમ ગણેશ પર હુમલો કરી દીધો હતો. શ્વાનોએ બાળકના માથા અને શરીરના અન્ય ભાગોમાં નિર્દયતાથી બચકા ભરી તેને લોહીલુહાણ કરી નાખ્યો હતો.
બાળકનો રડવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને શ્વાનોને ભગાડ્યા હતા. જાકે, ત્યાં સુધીમાં શ્વાનોએ બાળકને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી દીધો હતો. તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યોહતો.









































