પ્રેમ લગ્નનો મુદ્દો ફરી એકવાર ઉછળ્યો છે. પાટણમાં આદિવાસી ભીલ સમાજ દ્વારા આયોજિત એક ભવ્ય સમૂહ લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહેલા સરદાર પટેલ ગ્રુપ (એસપીજી) ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે મંચ પરથી સરકાર સામે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ મુદ્દે કાયદાકીય સુધારાની માગ કરી છે. તેમણે જણાવ્યું કે વર્તમાન સમયમાં પ્રેમ લગ્નના નામે થતી છેતરપિંડી અને કૌટુંબિક વિખવાદોને રોકવા માટે કાયદામાં યોગ્ય બદલાવ કરવો અનિવાર્ય બન્યો છે. ખાસ કરીને ભાગેડુ લગ્નોમાં પિતા અથવા માતા-પિતાની લેખિત સંમતિ ફરજિયાત બનાવતો કાયદો લાવવા માટે સરકાર પર દબાણ લાવવામાં આવી રહ્યું છે.
લાલજી પટેલે પોતાના પ્રવચનમાં યુવતીઓને અને ખાસ કરીને સમાજની દીકરીઓને ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. તેમણે દીકરીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, “કોઈપણ દીકરીએ પ્રેમમાં અંધ થઈને ભાગીને લગ્ન કરવાના બદલે, જાગીને એટલે કે સજાગ થઈને લગ્ન કરવા જોઈએ.” સમાજમાં સક્રિય કેટલાક અસામાજિક તત્વો માસૂમ દીકરીઓને ફોસલાવીને કે લાલચ આપીને ભગાડી ન જાય તે માટે દીકરીઓએ પોતે જ સામાજિક રીતે જાગૃત થવું પડશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, દીકરીઓ પોતાના જ સમાજમાં લગ્નગ્રંથિથી જાડાય તે વધુ હિતાવહ છે, જેથી તેમનું ભવિષ્ય સુરક્ષિત રહે અને સામાજિક તાણવાણો જળવાઈ રહે.
પોતાના વકતવ્યને વધુ સ્પષ્ટ કરતાં એસપીજી અધ્યક્ષે જણાવ્યું કે, તેઓ કે તેમનો સમાજ કોઈપણ જ્ઞાતિમાં થતા લગ્નની વિરુદ્ધમાં નથી. પરંતુ જે માતા-પિતાની સંમતિ સૌથી વધુ જરૂરી છે. વર્તમાન સમયની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, લાલજી પટેલે પાટીદાર સંગઠનો અને આદિવાસી ભીલ સંગઠન સહિતના તમામ સમાજાને દીકરીઓની સુરક્ષા અને ગરિમા માટે એક સમાન મંચ પર આવવા માટે જાહેર આહવાન કર્યું છે.