અમરેલીના ખાંભાના ચતુરી ગામમાં સિંહના હુમલામાં માસુમના મોત મામલે આજે ખુદ વન મંત્રી અર્જુન મોઢવાડિયા ગામની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન લોકોએ રોશભેર રજૂઆત કરી હતી. આ દરમિયાન વનમંત્રીએ ગ્રામજનોને આશ્વાસન આપ્યું હતું.
અમરેલીના ખાંભાના ચતુરી ગામમાં સિંહના હુમલામાં માસૂમ જીયાનના મોત મામલે વનમંત્રી અર્જુન મોઢવાડિયા ગામની મુલાકાતે પહોંચ્યા હતા. વનમંત્રીએ ધારાસભ્ય જે.વી.કાકડીયા અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સાથે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને પીડિત પરિવારને સાંત્વના પાઠવી હતી.
ચતુરી ગામની બજારો આજે આંસુ અને આક્રોશથી ભરેલી જોવા મળી. જે સ્થળે માસૂમ જીયાનને સિંહે પોતાનો શિકાર બનાવ્યો હતો, તે ઘટનાસ્થળનું વનમંત્રીએ જાતે નિરીક્ષણ કર્યું હતું. આ સમયે વન વિભાગના વડા જયપાલ સિંહ, સીએફ ડીસીએફ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ચતુરી ગામે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ વનમંત્રી સમક્ષ લેખિતમાં રજૂઆત કરી અને રેવન્યુ વિસ્તારમાંથી સિંહ-દીપડાઓને તાત્કાલિક જંગલમાં ખસેડવા માટે ખાસ ઓપરેશન ચલાવવાની માંગ કરી હતી. વન વિભાગના નબળા વર્તન સામે પણ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
માલધારીઓએ વનમંત્રી સમક્ષ ઉગ્ર પણ શાંતિપૂર્ણ રજૂઆતો કરતાં માંગ કરી છે કે ગીર જંગલની અંદર પશુઓ ચરાવવા માટે તેમને મંજૂરી આપવામાં આવે. આ સાથે જ વન વગડામાં જતા ખેડૂતો અને માલધારીઓને પોતાની રક્ષા માટે લાકડી કે કુહાડી જેવા હથિયારો રાખવા દેવાની છૂટ મળે. ગ્રામજનોની આ પીડા અને રજૂઆતો સાંભળ્યા બાદ વનમંત્રી અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ગંભીર બન્યા હતા.
વનમંત્રીએ સ્વીકાર્યું છે કે સિંહ સામાન્ય રીતે માનવ પર હુમલો નથી કરતો, તેથી આ ઘટના અસ્વાભાવિક અને ગંભીર છે. સિંહોના બદલાતા સ્વભાવ અંગે ઊંડો અભ્યાસ કરવામાં આવશે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સરકાર ટૂંકાગાળાના અને લાંબાગાળાના નક્કર પગલાં ભરશે. વનમંત્રીએ આશ્વાસન આપ્યું છે કે જનતાની પીડા એ સરકારની પોતાની પીડા છે અને તેના કાયમી ઉકેલ માટે નવી એસઓપી પણ બનાવવામાં આવશે.