દેવભૂમી દ્વારકા જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિતે એક અનોખા અને પ્રેરણાદાયી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવભૂમી દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલિયા ના માર્ગદર્શન હેઠળ “એક વૃક્ષ સ્વર્ગવાસી સ્વજનને નામ” અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે આશરે ૨૦૦૦ લોકોએ એક હાથમાં વૃક્ષનો છોડ અને બીજા હાથમાં અગ્નિ લઈને પર્યાવરણ સંરક્ષણ તથા વૃક્ષ ઉછેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુક લોકોએ અગાઉથી ફોર્મ ભરી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેથી તેઓ પોતાના સ્વર્ગસ્થ સ્વજનની સ્મૃતિમાં એક વૃક્ષ વાવી શકે.કાર્યક્રમ દરમિયાન અગ્નિની સાક્ષીએ તમામ ઉપસ્થીતોએ વૃક્ષોનું જતન અને સંવર્ધન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ અભિયાન માત્ર વૃક્ષારોપણ પૂરતું સીમિત ન રહી, પરંતુ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારી અને જાગૃતિનો સંદેશ પણ પહોંચાડ્યો હતો. પ્રસંગે આંબો, નાળિયેરી, ચીકુ, જામ્બુ, સીતાફળ, જામફળ, પીપળો અને ઉંબરા સહિતના વિવિધ ફળદ્રુપ અને પર્યાવરણને અનુકૂળ છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પૂર્વ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને જાણીતા પર્યાવરણવિદ વી.ડી. બાલાએ ઉપસ્થીત લોકોને પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષોના મહત્વ અને વધતા જતાં પર્યાવરણીય પડકારો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત ભગવતાચાર્ય રાજુભાઈ લહેરુએ ઉપસ્થીત ૨૦૦૦ લોકોને અગ્નિની સાક્ષીએ વૃક્ષ ઉછેરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. સમગ્ર કાર્યક્રમમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને સામાજિક જવાબદારીનો અનોખો સંદેશ જાવા મળ્યો હતો.