કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ નેપાળમાં આવેલા વિનાશક પૂર અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખ્યો છે. તેમણે નેપાળમાં ફસાયેલા ભારતીયોની સલામત વાપસી અને નેપાળમાં માનવતાવાદી સહાય મોકલવાની માંગ કરી છે. પ્રધાનમંત્રીને લખેલા પત્રમાં, ખડગેએ નેપાળમાં આવેલા વિનાશક પૂર અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી, જેના કારણે જાનમાલનું ભારે નુકસાન થયું છે. મીડિયા અહેવાલો અનુસાર, ૬૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને લગભગ ૨,૦૦૦ લોકો હજુ પણ ગુમ છે. હજારો લોકો ખોરાક, દવા, આશ્રય અને અન્ય આવશ્યક સહાય માટે સંઘર્ષ કરી રહ્યા છે.
ખડગેએ પ્રધાનમંત્રીને પૂરગ્રસ્ત લોકોને પૂરતી માનવતાવાદી અને રાહત સહાય સુનિશ્ચિત કરવા માટે નેપાળ સરકાર સાથે કામ કરવા વિનંતી કરી હતી. તેમણે એ પણ ચિંતા વ્યક્ત કરી હતી કે પૂરને કારણે નેપાળના વિવિધ ભાગોમાં ઘણા ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના લોકો ફસાયેલા છે. તેમણે વિનંતી કરી હતી કે સંબંધિત અધિકારીઓને બચાવ અને સ્થળાંતરના પ્રયાસોને ઝડપી બનાવવા અને તેમના સલામત અને ઝડપી ભારત પરત ફરવા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવે.
વિદેશ મંત્રાલયની નવીનતમ માહિતીનો ઉલ્લેખ કરતા, મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે નેપાળમાં આશરે ૩૨૦ ભારતીય નાગરિકો હજુ પણ ગુમ છે અને તેમને શોધી શકાતા નથી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભારત સરકાર આ મુશ્કેલ સમયમાં શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે તાત્કાલિક પગલાં લેશે.
ગૃહમંત્રી અમિત શાહને લખેલા એક અલગ પત્રમાં, ખડગેએ જણાવ્યું હતું કે નેપાળમાં આવેલા પૂરે ગંભીર કુદરતી આફત લાવી છે. જાનહાનિ, ઘરો અને માળખાગત સુવિધાઓનો વ્યાપક વિનાશ અને અસંખ્ય લોકોના વિસ્થાપનથી અસરગ્રસ્ત સમુદાયોને ભારે દુઃખ થયું છે. તેમણે લખ્યું હતું કે ભારતના લોકોનો નેપાળના લોકો સાથે ઊંડો અને કાયમી સંબંધ છે. ભારતે આ દુઃખની ઘડીમાં તેના પડોશીઓ સાથે મજબૂત રીતે ઊભા રહેવું જાઈએ અને આ વિનાશથી પ્રભાવિત લોકોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવી જાઈએ.
ખડગેએ સરકારને વિનંતી કરી કે તેઓ નેપાળને તાત્કાલિક અને વ્યાપક માનવતાવાદી અને આપત્તિ-રાહત સહાય પૂરી પાડવાનું વિચારે. ખાસ કરીને, નેપાળ સરકાર સાથે સંકલનમાં, અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ, સ્થળાંતર અને રાહત કામગીરીમાં મદદ કરવા માટે જ્યાં જરૂર હોય ત્યાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ ટીમો તૈનાત કરવા પર વિચાર કરવો જાઈએ. તેમણે જણાવ્યું હતું કે કુદરતી આફતોનો સામનો કરવામાં એનડીઆરએફની કુશળતા અને અનુભવ જીવન બચાવવા અને આ મોટી દુર્ઘટનાનો સામનો કરી રહેલા લોકોને તાત્કાલિક રાહત પૂરી પાડવામાં અમૂલ્ય સાબિત થઈ શકે છે.
તેમણે આશા વ્યક્ત કરી કે ગૃહ મંત્રાલય આ બાબતને ગંભીરતા અને સંવેદનશીલતાથી જાશે અને નેપાળના પૂરગ્રસ્ત લોકો સુધી ભારતની સહાય પહોંચે તે માટે જરૂરી તમામ પગલાં લેશે.