અમરેલી શહેરની સુવિધામાં ઉમેરે કરતા રૂ. ૯૦૪.૪૯ લાખના ‘વિકાસ યજ્ઞ’નું ખાતમુહૂર્ત ઉર્જા-કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે થયું હતું. શહેરના જેસીંગપરા અને લાઠી રોડ વિસ્તારમાં સાંસદ ભરતભાઈ સુતરીયાની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા ખાતમુહૂર્ત સમારોહમાં નગરપાલિકાના પ્રમુખ બિપીનભાઈ લિંબાણી સહિતના મહાનુભાવોએ ભૂમિપૂજન કર્યું હતું. અમરેલી શહેરમાં રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી, શહેરી વિકાસ યોજના (યુપીડી-૮૮) વર્ષ ૨૦૨૫-૨૬ હેઠળ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ટ્રીમિક્સ સાથે સી.સી. રોડ, કમ્પાઉન્ડ વોલ, બોક્ષ કલ્વર્ટ, વીંગ વોલ, રિટેઈનીંગ વોલ, બોક્ષ ડ્રેઈન, સ્ટોર્મ વોટર, મેનહોલ ફ્રેમ કવર સાથે મજબુતીકરણ, ફૂટપાથ, ટ્રી-પ્લાન્ટેશન, ગ્રીલ, ગાર્ડન ડેવલપમેન્ટ, સ્ટ્રીટલાઇટ અને ડી.આઈ. પાઇપલાઇનની કામગીરી કરવામાં આવશે. રાજ્યમંક્ષીએ આ તમામ કામ સમય મર્યાદામાં અને ગુણવત્તાયુક્ત કરવા માટે સૂચન કર્યું હતું તેમજ અમરેલીની શહેરીવિકાસ યાત્રાને આગળ ધપાવવાની નેમ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે નગરપાલિકાના સભ્યો, શહેરના અગ્રણી પી.પી. સોજિત્રા, મેહુલભાઈ ધોરાજિયા, સંદિપભાઈ માંગરોળીયા, મૌલિકભાઈ ઉપાધ્યાય સહિત વોર્ડના સભ્યો, નગરપાલિકાના અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.