અમરેલી જિલ્લાના જાળિયા ગામમાં રાજ્યના ઊર્જા, કાયદા તથા ન્યાય વિભાગના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાનું ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. ગામના તળાવને ૬૦૦ કલાક હિટાચી મશીનથી ઊંડું કરવાની કામગીરી બાદ ચોમાસામાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. આ કામગીરીને બિરદાવવા ગામજનો દ્વારા સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું કે જળસંચયથી ખેડૂતોની આવક વધશે અને ગામોના વિકાસને નવી દિશા મળશે. તેમણે અમરેલી જિલ્લામાં સ્માર્ટ જીઆઈડીસી, રાધેશ્યામ-માચિયાળા બાયપાસ અને સ્પોટ્‌ર્સ સંકુલ જેવા વિકાસકાર્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રાગજીભાઈ હીરપરા અને પી.વી. વસાણીએ પણ જળસંચયના મહત્વ અંગે પ્રાસંગિક સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત જળસંચય સમિતિના કાર્યકરોનું પણ સન્માન કરાયું હતું.