રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને સંબોધીને ખુલ્લો પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે પેપર લીક, બેરોજગારી અને શિક્ષણ વ્યવસ્થાને લગતી ચિંતાઓ વ્યક્ત કરી છે. સાથે જ આ મુદ્દાઓ અંગે ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાતનો સમય માંગ્યો હોવાનું જણાવ્યું છે.
પત્રમાં જવાહર ચાવડાએ દિલ્હીમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓની સમસ્યાઓ અને તેમની વ્યથા તેમને વ્યક્તિગત રીતે સ્પર્શી છે. તેઓએ કહ્યું કે વિવિધ પ્રસંગોએ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે થયેલા સંવાદ દરમિયાન શિક્ષણ, પરીક્ષાઓ અને રોજગાર સંબંધિત અનેક મુશ્કેલીઓ સામે આવી છે.
પૂર્વ મંત્રીએ જણાવ્યું છે કે પેપર લીક જેવી ઘટનાઓ યુવાનોના ભવિષ્યને અસર કરે છે અને શિક્ષણ પ્રત્યેનો વિશ્વાસ ડગમગાવે છે. તેમના મતે રાજ્ય સરકારે આ મુદ્દે લાંબા ગાળાનો અને અસરકારક ઉકેલ લાવવા માટે જરૂરી પગલાં લેવા જાઈએ. આ માટે તેઓ મુખ્યમંત્રી સમક્ષ વિદ્યાર્થીઓની લાગણીઓ અને સૂચનો રજૂ કરવા માંગે છે.
પત્રમાં તેમણે રાજકીય મતભેદોથી ઉપર ઉઠીને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સૌએ સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા, વિશ્વસનીયતા અને સમાન તક સુનિશ્ચિત કરવા માટે સમાજના દરેક વર્ગે સહયોગ આપવો જોઈએ તેવી અપીલ પણ કરવામાં આવી છે.
જવાહર ચાવડાએ લખ્યું છે કે યુવાનોમાં બેરોજગારી અને વારંવાર સર્જાતી પરીક્ષા સંબંધિત વિવાદો અસંતોષ વધારતા મુદ્દા છે. તેમણે આ પરિસ્થિતિને ગંભીર ગણાવી સમયસર અસરકારક નિર્ણય લેવાની જરૂરિયાત દર્શાવી છે જેથી આવનારી પેઢીને વધુ સારી અને વિશ્વસનીય શિક્ષણ વ્યવસ્થા મળી શકે.
વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને સંબોધીને લખાયેલો આ ખુલ્લો પત્ર રાજકીય અને શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. મુખ્યમંત્રી સાથે મુલાકાત થાય છે કે નહીં અને આ મુદ્દે સરકાર તરફથી શું પ્રતિસાદ મળે છે તેના પર સૌની નજર છે.