ભારતીય શેરબજારમાં શુક્રવારે દિવસભર વધઘટ જોવા મળી. રોકાણકારો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) ની નાણાકીય નીતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આરબીઆઇએ રેપો રેટ ૫.૨૫% પર સ્થિર રાખ્યો અને તેનું વલણ બદલ્યું નહીં, તેમ છતાં બજાર ખરીદીનું વાતાવરણ બનાવવામાં નિષ્ફળ ગયું. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા.

ટ્રેડિંગના અંતે,બીએસઇ સેન્સેક્સ ૧૧૬.૬૭ પોઈન્ટ અથવા ૦.૧૬% ઘટીને ૭૪,૨૪૩.૩૪ પર બંધ થયો. દરમિયાન,એનએસઇ નિફ્ટી ૪૯.૮૫ પોઈન્ટ અથવા ૦.૨૧% ઘટીને ૨૩,૩૬૬.૭૦ પર પહોંચ્યો. દિવસભર વોલેટિલિટી ચાલુ રહી. એક સમયે, બજાર લીલા નિશાનમાં દેખાતું હતું, પરંતુ પાછળથી વેચાણ દબાણે કબજા જમાવ્યો, જેના કારણે સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા.આઇટી અને મેટલ શેરોમાં વેચાણ દબાણનો બજાર પર પ્રભાવ પડ્યો, જ્યારે બેંકિંગ શેરોમાં થોડો ટેકો મળ્યો.

નિફ્ટીમાં મેટલ અને આઇટી કંપનીઓ ટોચના ઘટાડામાં સામેલ હતી. હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, વિપ્રો, ટ્રેન્ટ, કોલ ઇન્ડિયા અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી, જેનાથી બજારનું દબાણ વધ્યું. વધુમાં, અદાણી એન્ટરપ્રાઇઝ, હિન્દુસ્તાન યુનિલિવર, અદાણી પોર્ટ્‌સ, બજાજ ફાઇનાન્સ અને એક્સીસ બેંકમાં વધારાથી બજારના ઘટાડાને મર્યાદિત કરવામાં મદદ મળી.

શેરબજારમાં ઘટાડાનાં કારણોઃ ૧. રોકાણકારોએ નફો બુક કર્યોઃ બજાર મજબૂત શરૂઆત કરી. શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સ ૩૦૦ પોઈન્ટથી વધુ વધ્યો, અને નિફ્ટી પણ ૨૩,૫૦૦ થી ઉપર પહોંચી ગયો. જોકે, શેરના ભાવ વધતાં, ઘણા રોકાણકારોએ નફો બુક કરવાનું શરૂ કર્યું. આનાથી બજારનો શરૂઆતનો ફાયદો ધોવાઈ ગયો, જેના કારણે ઘટાડો થયો.

૨. આરબીઆઇએ ફુગાવાનો અંદાજ વધાર્યોઃ આરબીઆઇએ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ફુગાવાનો અંદાજ ૪.૬% થી વધારીને ૫.૧% કર્યો. કેન્દ્રીય બેંકનું કહેવું છે કે વૈશ્વીક ઉર્જાના ભાવમાં વધારો થવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. મે મહિનાથી, પેટ્રોલના ભાવમાં આશરે ૭.૪% અને ડીઝલના ભાવમાં ૮.૪% વધારો થયો છે. વધતા ફુગાવાથી રોકાણકારોની ચિંતા વધી છે, જેની અસર બજાર પર પડી છે.

૩.જીડીપી આગાહીમાં ઘટાડોઃ આરબીઆઇએ ભારતના આર્થિક વિકાસની આગાહી પણ ઘટાડી છે. નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે જીડીપી વૃદ્ધિ હવે ૬.૬% રહેવાનો અંદાજ છે, જે એપ્રિલમાં ૬.૯% હતો. આ આંકડો પાછલા નાણાકીય વર્ષ માટે અંદાજવામાં આવેલા ૭.૬% વૃદ્ધિ દર કરતા ઓછો છે. નબળા વિકાસના સંકેતોએ રોકાણકારોનો વિશ્વાસ નબળો પાડ્યો છે અને બજારનું દબાણ વધ્યું છે.