લાઠી તાલુકાના રાભડા ગામે ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ગામના તળાવ રીસ્ટોરેશન કાર્યનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વધુ સારી સિંચાઇ સુવિધા ઉપલબ્ધ થાય અને પાણીની સંગ્રહ ક્ષમતા વધે તે હેતુસર રૂ. ૩૪.૫૧ લાખના ખર્ચે આ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રસંગે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. આ તળાવના રીસ્ટોરેશનથી આજુબાજુના ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે, જેના પરિણામે કૃષિ ઉત્પાદન વધશે અને ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવશે.