સુપ્રીમ કોર્ટે અલગ થયેલા પતિ-પત્ની વચ્ચેના ૧૦ વર્ષ જૂના વિવાદને રદ કર્યો છે, તેને “વૈવાહિક મહાભારત” ગણાવ્યો છે અને તેમના લગ્નને રદ કર્યા છે, જેનાથી કડવી કાનૂની લડાઈનો અંત આવ્યો છે. ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે જણાવ્યું હતું કે લગ્ન “વ્યવહારિક રીતે મૃત્યુ પામ્યા હતા” અને બંધારણની કલમ ૧૪૨ હેઠળની અસાધારણ શક્તિઓનો ઉપયોગ કરીને, દંપતીના વૈવાહિક સંબંધોને તોડી નાખ્યા હતા.
બેન્ચે પતિ, જે વ્યવસાયે વકીલ છે, તેની કાનૂની કુશળતાનો ઉપયોગ કરીને “બદલો લેવા અને હેરાન કરવા” અભિયાનના ભાગ રૂપે તેની પત્ની, તેના પરિવાર અને તેના વકીલ સામે ૮૦ થી વધુ કેસ દાખલ કરવા બદલ ટીકા કરી હતી.
બેન્ચે તેના આદેશમાં નોંધ્યું હતું કે અલગ થયેલા દંપતી “લાંબા સમયથી કડવા વૈવાહિક વિવાદમાં રોકાયેલા હતા, જેના પરિણામે વિવિધ અદાલતોમાં અસંખ્ય કેસ દાખલ કરવામાં આવ્યા હતા.” આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “અમે એ પણ નોંધ્યું છે કે પ્રતિવાદી પતિએ અરજદાર પત્ની અને તેના સંબંધીઓ જ નહીં, પરંતુ તેના વકીલો સામે પણ અનેક અરજીઓ અને ફરિયાદો દાખલ કરીને દરેક સ્તરે કાર્યવાહીને ખેંચવાનો અને જટિલ બનાવવાનો પ્રયાસ કર્યો છે. આમાંના મોટાભાગના કેસો બદલો લેવાના અને હેરાન કરવાના હોય તેવું લાગે છે. આ સ્પષ્ટપણે પ્રતિવાદી પતિના પ્રતિકૂળ, ઝઘડાખોર અને બદલો લેવાના વલણને પ્રતિબિંબિત કરે છે.”
બેન્ચે કહ્યું કે તે સમજી શકે છે કે મહિલાને તેના વૈવાહિક સંબંધને ચાલુ રાખવામાં શા માટે અત્યંત મુશ્કેલ લાગ્યું હશે. આ કોર્ટને કોઈ શંકા નથી કે લગ્ન વ્યવહારીક રીતે તૂટી ગયા છે અને આ કેસ બંધારણની કલમ ૧૪૨ હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરવા માટે ખૂબ જ યોગ્ય છે, જે ફક્ત પક્ષકારો વચ્ચેના લગ્નને વિસર્જન કરવા માટે જ નહીં, પરંતુ તેમની વચ્ચે શરૂ થયેલી અને પડતર તમામ કાર્યવાહી, જેમાં સંબંધીઓ અને કાનૂની સલાહકારો સામેની કાર્યવાહીનો પણ સમાવેશ થાય છે, રદ કરવા માટે પણ છે, જેથી સંપૂર્ણ ન્યાય થઈ શકે અને લગભગ એક દાયકાથી ચાલી રહેલા વિવાદનો અંત લાવી શકાય, જે બધી મર્યાદાઓ વટાવી ગયો છે અને વૈવાહિક મહાભારતનું સ્વરૂપ લઈ ચૂક્્યો છે.”
સુપ્રીમ કોર્ટે પ્રતિવાદી પતિને અરજદાર પત્ની અને તેના બાળકોને ભરણપોષણ તરીકે ૫ કરોડ ચૂકવવાનો નિર્દેશ આપ્યો. વાદી પતિએ આ રકમ એક વર્ષમાં એક સાથે અથવા ચાર હપ્તામાં ચૂકવવાની રહેશે. આ સાથે, કોર્ટે તાત્કાલિક અસરથી તમામ ૮૦ પડતર કેસોને ફગાવી દીધા, જેમાં તમામ સિવિલ, ફોજદારી અને એફઆઇઆર કેસનો સમાવેશ થાય છે. પત્નીને બે પુત્રોની સંપૂર્ણ કસ્ટડી આપવામાં આવી છે, જાકે પતિને બાળકોની મુલાકાત લેવાનો અધિકાર અનામત રાખવામાં આવ્યો છે.