સુરતના કડોદરામાં ભાજપના વગદાર આગેવાન શશીસિંઘની પુત્રવધૂ નિધિ રાજપૂતના આપઘાતના કેસમાં હવે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. કડોદરા-બારડોલી રોડ પર આવેલી શ્રીનિવાસ ગ્રીન સિટી સોસાયટીમાં રહેતી ૨૪ વર્ષની નિધિએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. લગ્નને હજુ માત્ર બે વર્ષ જ થયા હતા. પરંતુ આપઘાત બાદ સામે આવેલી એક દોઢ પાનાની ચિઠ્ઠીએ સમગ્ર ઘટનાને નવો વળાંક આપ્યો છે.
નિધિએ આ સુસાઇડ નોટ પોતાના આંતરવસ્ત્રોમાં છુપાવી હતી. કારણ કે તેને ડર હતો કે જો ચિઠ્ઠી સીધી સાસરિયાઓના હાથમાં આવશે તો કદાચ તેનો નાશ કરી દેવામાં આવે. તેના સાસુ શશીસિંઘ ભાજપમાં મજબૂત પકડ ધરાવતા પૂર્વ ઉપપ્રમુખ હોવાનું જણાવવામાં આવે છે. આ કારણે નિધિએ પોતાના મૃત્યુ પાછળનું કારણ બહાર આવે અને પુરાવો સુરક્ષિત રહે તે માટે આ ચિઠ્ઠી ખૂબ જ ગુપ્ત રીતે છુપાવી હોવાનું સામે આવ્યું છે.
નિધિની લખેલી ચિઠ્ઠી હિન્દી અને અંગ્રેજીમાં હતી. તેમાં તેણે પતિ સૌરભ પ્રત્યેનો પોતાનો પ્રેમ અને સાથે જ તેની બેવફાઈથી મળેલી પીડા વ્યક્ત કરી હતી. સુસાઇડ નોટમાં નિધિએ લખ્યું હતું કે તે સૌરભને ખૂબ પ્રેમ કરે છે અને તેના વગર જીવી શકતી નથી, પરંતુ પતિના અન્ય મહિલા સાથેના સંબંધો હવે તે સહન કરી શકતી નથી. આ સંબંધોને કારણે તે સતત માનસિક રીતે પરેશાન રહેતી હોવાનો પણ ઉલ્લેખ ચિઠ્ઠીમાં કર્યો હતો. છેલ્લી ક્ષણો પહેલાં પણ નિધિ સામાન્ય દેખાવાનો પ્રયાસ કરી રહી હતી. બનાવ સમયે પરિવારના બીજા સભ્યો ઘરની બહાર હતા. પતિ સૌરભ જીમ પર ગયા હતા, સસરા સંજયસિંઘ કંપનીમાં હતા, જ્યારે સાસુ શશીસિંઘ અને નણંદ શાકભાજી લેવા ગયા હતા. ઘરે એકલી રહેલી નિધિ તે સમયે પોતાના પાલતુ કૂતરા સાથે રમી રહી હતી. થોડા સમય પછી નિધિએ સાસુને ફોન કર્યો હતો. ફોન પર તેણે કહ્યું હતું કે, “મને ગભરામણ જેવું થાય છે, યોગ્ય નથી લાગતું, તમે ઘરે આવી જજા.” આ ફોન બાદ ઘરમાં શું થયું તે અંગે હવે પોલીસ તપાસ કરી રહી છે.
ઘરનો મેઈન ડોર લોક હતો. અંદરના રૂમનો લોક તૂટેલો હોવાથી દરવાજા માત્ર હેન્ડલથી આડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નિધિએ રૂમમાં જઈને સાડી વડે સીલિંગ ફેન સાથે ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો ઘરે પહોંચ્યા ત્યારે નિધિ લટકતી હાલતમાં મળી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પરંતુ પોસ્ટમોર્ટમ દરમિયાન આ કેસમાં સૌથી મહત્વની બાબત સામે આવી. ડોક્ટરોને નિધિના આંતરવસ્ત્રોમાંથી દોઢ પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી. ચિઠ્ઠી મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. નિધિએ આટલી સાવચેતીથી પુરાવો છુપાવ્યો હોવાનું હવે તપાસમાં મહત્વનું માનવામાં આવી રહ્યું છે.સુસાઇડ નોટમાં પતિના અન્ય મહિલા સાથેના સંબંધો અને તેના કારણે થતી માનસિક પીડાનો ઉલ્લેખ હોવાના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે. કડોદરા જીઆઇડીસી પોલીસે સુસાઇડ નોટ જપ્ત કરી છે અને પતિ સૌરભ સિંહ વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે. નિધિએ મૃત્યુ પહેલાં લખેલી આ ચિઠ્ઠી ખરેખર સમગ્ર ઘટનાની પાછળનું કારણ શું હતું તે જાણવા માટે સૌથી મહત્વનો પુરાવો બની શકે છે.