સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકારની કામગીરી સામે કડક ટકોર કરવામાં આવી છે. અદાલતે ડિમોલિશનની કાર્યવાહી અંગે ગંભીર સવાલો ઉઠાવીને પૂછ્યું છે કે જો નાના અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે છે, તો મોટા અધિકારીઓ સામે પગલાં કેમ લેવામાં આવતા નથી?
હાઇકોર્ટની સુનાવણી દરમિયાન સુરત મનપા કમિશનર હજુ પણ પદ પર કેમ છે તે અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સાથે જ ડિમોલિશન કાર્યવાહી પ્રાથમિક દ્રષ્ટિએ પૂર્વ આયોજિત હોવાનું જણાતું હોવાની ટકોર કરવામાં આવી હતી
નાસિરનગર વિસ્તારમાં થયેલી ડિમોલિશન કાર્યવાહી બાદ અનેક લોકો ઘરવિહોણા બન્યા હોવાના મુદ્દે હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. અદાલતે ટકોર કરી હતી કે જો ગરીબોના મકાનો તોડવામાં આવ્યા હોય તો તેમને વૈકલ્પીક રહેઠાણ અથવા નવા મકાનો ફાળવવાની જવાબદારી તંત્રની બને છે.કોર્ટે બેઘર થયેલા લોકોની મુશ્કેલીઓ અંગે પણ ગંભીરતા દર્શાવી હતી અને વહીવટી તંત્રની કામગીરીને લઈને જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે અધિકારીઓ સામે થતી કાર્યવાહી અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. અદાલતે પૂછ્યું કે નાના અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે છે, ત્યારે મોટા અધિકારીઓ સામે કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? સાથે જ મનપા કમિશનરને લઈને પણ સરકાર સામે સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે તેઓ હજુ સુધી પોતાના પદ પર કેમ છે અને સરકાર તેમને શા માટે બચાવી રહી છે?
બેઘર બનેલા નાગરિકોની પરિસ્થિતિ અંગે હાઇકોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન અદાલતે એ મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે જો તંત્રની ભૂલ અથવા અધિકારીઓની બેદરકારીના કારણે નાગરિકોને નુકસાન થયું હોય તો તેનો બોજ સામાન્ય લોકો અથવા સરકાર શા માટે ઉઠાવે? કોર્ટે સુરત મહાનગરપાલિકાની આર્થિક ક્ષમતા અંગે પણ ટકોર કરી હતી. અદાલતે પ્રશ્ન કર્યો હતો કે જો મનપા આર્થિક રીતે સક્ષમ છે, તો બેઘર થયેલા ગરીબ લોકોને કોર્ટમાં અરજી કરવા માટેનો ખર્ચ પણ શા માટે કરવો પડે?
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ડિમોલિશન કાર્યવાહી પાછળ થયેલા ખર્ચ અંગે પણ મહત્વપૂર્ણ ટકોર કરી હતી. અદાલતે જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે જો કાર્યવાહી માટે અધિકારીઓ જવાબદાર હોય તો તેનો આર્થિક બોજ ગરીબ નાગરિકો પર નાખવાને બદલે જવાબદાર દોષિત અધિકારીઓના પગારમાંથી વસૂલવામાં આવે.આ ટકોરથી નાસિરનગર ડિમોલિશન મામલે અધિકારીઓની જવાબદારી નક્કી કરવાનો મુદ્દો વધુ મહત્વનો બન્યો છે.
નાસિરનગર ડિમોલિશન મામલે હાઇકોર્ટની કડક ટિપ્પણીઓ બાદ હવે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાની આગામી કાર્યવાહી પર નજર રહેશે. અદાલતે સમગ્ર મામલે સંતોષકારક ખુલાસા અને અસરગ્રસ્ત લોકોને રાહત મળે તેવા પગલાં અંગે ધ્યાન દોર્યું છે.નાસિરનગર ડિમોલિશન કેસમાં હાઇકોર્ટની સુનાવણીથી એક તરફ અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસનનો મુદ્દો સામે આવ્યો છે, તો બીજી તરફ કાર્યવાહી માટે જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવાનો સવાલ પણ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.