કચ્છના દીનદયાળ પોર્ટ (કંડલા પોર્ટ) ખાતે આજે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. બર્થ નંબર-૧૩ પર લાંગરેલા એમ વી પાન ઓષ્ટિમમ નામના જહાજમાં માલસામાન ઉતારવાની કામગીરી દરમિયાન ત્રણ શ્રમિકોના કરૂણ મોત નિપજતા સમગ્ર પોર્ટ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, જહાજના કાર્ગો હોલ્ડ નંબર-૦૩ના મેનહોલ નજીક ત્રણ શ્રમિકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ રાજેશ, માસુક અલી અને રાજ કુમાર તરીકે થઈ છે. ત્રણેય મજૂરો મીરા કાર્ગો હેન્ડલિંગ હેઠળ ઋષિ શિપિંગ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાં ફરજ બજાવતા હતા.
ઘટનાની જાણ થતા જ જહાજના ક્રૂ મેમ્બર્સ અને પોર્ટ સ્ટાફ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોર્ટની એમ્બ્યુલન્સ મારફતે ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પ્રાથમિક તપાસમાં કાર્ગો હોલ્ડમાં ઝેરી ગેસ ફેલાયો હોવાની અથવા ઓક્સિજનની અછત સર્જાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતા જાતા પોર્ટ સત્તાવાળાઓ અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થામાં કોઈ બેદરકારી રહી હતી કે કેમ તે મુદ્દે પણ ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરાઈ છે.
ગંભીર દુર્ઘટના જાણ થતા પોર્ટ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કામદારોના મોતથી પોર્ટ વિસ્તારમાં અરેરાટી સાથે ગમગીનીનો માહોલ સર્જાયો હતો. હાલ પોલીસ અને પોર્ટ તંત્ર સમગ્ર ઘટનાની વધુ તપાસ કરી રહ્યું છે









































