ગુજરાતમાં હાર્ટ એટેકના વધતા કેસો હવે ગંભીર ચિંતાનો વિષય બની રહ્યા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્‌સ બ્યુરો દ્વારા જાહેર કરાયેલા ૨૦૨૪ના તાજા આંકડા અનુસાર, રાજ્યમાં ગયા વર્ષે હાર્ટ એટેકના કારણે કુલ ૩,૨૫૩ લોકોનાં મોત નોંધાયા છે.

દેશભરના આંકડાઓમાં મહારાષ્ટ્ર અને કેરળ બાદ ગુજરાત પણ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં સામેલ થયું છે. આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે બદલાતી જીવનશૈલી, વધતો તણાવ, અનિયમિત ખોરાક અને વ્યાયામનો અભાવ હાર્ટ એટેકના કેસોમાં વધારો કરી રહ્યા છે.

મહારાષ્ટ્ર એકલા ૧૪,૮૭૪ મૃત્યુ સાથે યાદીમાં ટોચ પર છે. કેરળ ૫,૦૧૫ મૃત્યુ સાથે બીજા ક્રમે છે. ગુજરાતમાં ૩,૨૫૩ મૃત્યુ નોંધાયા છે, અને કર્ણાટકમાં ૨,૫૬૮ મૃત્યુ નોંધાયા છે. મધ્યપ્રદેશમાં ૨,૧૧૫ મૃત્યુ નોંધાયા છે, જ્યારે તમિલનાડુમાં ૧,૬૦૬ અને રાજસ્થાનમાં ૧,૬૦૪ મૃત્યુ નોંધાયા છે. હરિયાણામાં૧,૫૬૪, પંજાબમાં ૧,૦૫૦, જ્યારે ઉત્તર પ્રદેશમાં ૯૭૨ મૃત્યુ સાથે દસમા ક્રમે છે. આ આંકડા દર્શાવે છે કે હૃદયરોગ હવે એક ગંભીર રાષ્ટ્રીય કટોકટી બની ગયો છે.

ખાસ કરીને ૩૦થી ૫૦ વર્ષની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. કામનો તણાવ, લાંબા કલાકો સુધી બેસીને કામ કરવું, જંક ફૂડ અને ઊંઘનો અભાવ દિલની બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છે.ડાક્ટરોનું કહેવું છે કે છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, અચાનક પરસેવો આવવો, વધારે થાક લાગવો અને હાથ કે જડબામાં દુખાવો જેવા લક્ષણોને ક્યારેય અવગણવા જોઈએ નહીં.

વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ, ગુજરાતમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને મોટાપાના કેસોમાં વધારો હાર્ટ એટેક પાછળનું મુખ્ય કારણ બની રહ્યો છે. સાથે જ ધુમ્રપાન, ફાસ્ટ ફૂડ અને શારીરિક કસરતનો અભાવ પણ જોખમ વધારી રહ્યા છે. શહેરોમાં વધતી ભાગદોડ અને માનસિક તણાવ પણ દિલ પર ખરાબ અસર કરી રહ્યા છે. ઘણા લોકો નિયમિત હેલ્થ ચેકઅપ કરાવતા નથી, જેના કારણે સમસ્યા ગંભીર બનતી જાય છે.

ડાક્ટરો સલાહ આપે છે કે નિયમિત વ્યાયામ, સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ હાર્ટને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે.,દરરોજ ઓછામાં ઓછા ૩૦ મિનિટ ચાલવું,જંક ફૂડ અને તેલિયું ખાવાનું ઓછું કરવું, ધુમ્રપાન અને દારૂથી દૂર રહેવું,સમયસર બ્લડ પ્રેશર અને શુગર ચેક કરાવવી, તણાવ ઘટાડવા માટે યોગ અને ધ્યાન કરવું,સમયસર સાવચેતી અને યોગ્ય સારવારથી હાર્ટ એટેકના જોખમને ઘણો ઓછો કરી શકાય છે.