ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના વ્યવસાયિક જૂથ માટે અમેરિકા તરફથી મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, યુએસ વહીવટીતંત્ર ગૌતમ અદાણી સામે લાંચ અને છેતરપિંડીના કેસ બંધ કરવા તરફ આગળ વધી રહ્યું છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ ટૂંક સમયમાં આ ફોજદારી આરોપો પાછા ખેંચવાની જાહેરાત કરી શકે છે.

બ્લુમબર્ગના એક અહેવાલ મુજબ, યુએસ સિક્યોરીટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન નવેમ્બર ૨૦૨૪ માં દાખલ કરાયેલા સમાંતર સિવિલ છેતરપિંડીના કેસને ઉકેલવા માટે પણ આગળ વધી રહ્યું છે. જોકે, યુએસ અધિકારીઓ અથવા અદાણી ગ્રુપ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

નવેમ્બર ૨૦૨૪ માં, બ્રુકલિનમાં યુએસ એટર્નીની ઓફિસે ગૌતમ અદાણી અને અન્ય આરોપીઓ પર ભારતમાં ઇં૨૫૦ મિલિયનની કથિત લાંચ યોજના ચલાવવાનો આરોપ મૂક્્યો હતો. તપાસ એજન્સીએ દાવો કર્યો હતો કે સૌર ઉર્જા પ્રોજેક્ટ્‌સ માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે અધિકારીઓને લાંચ આપવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે યુએસ રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કરતી વખતે આ કથિત યોજના છુપાવવામાં આવી હતી.

જોકે, અદાણી ગ્રુપે શરૂઆતમાં આ બધા આરોપોને નકારી કાઢ્યા હતા. ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી હજુ સુધી યુએસ કોર્ટમાં હાજર થયા નથી, જેના કારણે કેસ લાંબા સમય સુધી વિલંબિત રહ્યો છે.

આ વર્ષની શરૂઆતમાં, ગૌતમ અદાણીના વકીલોએ દસ્તાવેજા દાખલ કર્યા હતા જેમાં દલીલ કરવામાં આવી હતી કે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનના છેતરપિંડીના કેસને રદ કરવો જોઈએ. તેમણે દલીલ કરી હતી કે નિયમનકારો પાસે બે વ્યક્તિઓ પર જરૂરી અધિકારક્ષેત્રનો અભાવ છે અને કેસ અંતર્ગત કથિત ખોટા નિવેદનો કાર્યવાહીપાત્ર નથી.