અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં કૌટુંબિક વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતાં પતિની હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. રિસાઈને પિયર આવેલી પત્નીને પરત તેડવા માટે આવેલા પતિ પર તેના જ સાળાઓ અને પિતરાઈ સાળાઓએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ચાર શખ્સોએ મળીને તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓથી હુમલો કરતાં પતિને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ ઘટના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા બળીયાદેવ મંદિર પાસે બની હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં અમરાઈવાડી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હત્યાના ગુનામાં તપાસ શરૂ કરી છે. પ્રાથમિક કાર્યવાહી દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસની ટીમો દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે.
મળતી માહિતી મુજબ, પતિ-પત્ની વચ્ચે કૌટુંબિક બાબતે કોઈ કારણસર વિવાદ ચાલી રહ્યો હતો. આ દરમિયાન પત્ની રિસાઈને પોતાના પિયર ચાલી ગઈ હતી. પત્નીને પરત ઘરે લઈ જવા માટે પતિ તેના સાસરી પક્ષના ઘરે પહોંચ્યો હતો. પત્નીને પરત મોકલવા અંગે બંને પરિવાર વચ્ચે વાતચીત અને સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જાકે, ચર્ચા દરમિયાન કોઈ અંતિમ સમાધાન થઈ શક્યું નહોતું અને મામલો વધુ ઉગ્ર બન્યો હતો.
સમાધાનની વાત ચાલી રહી હતી ત્યારે વિવાદ વકર્યો હતો. આ દરમિયાન પત્નીના બે સગા ભાઈ અને બે પિતરાઈ ભાઈ સહિત ચાર શખ્સોએ પતિ પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. આરોપીઓએ લાકડીઓ તેમજ તીક્ષ્ણ હથિયારો વડે પતિ પર હુમલો કર્યો હતો. અચાનક થયેલા હુમલામાં પતિને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાઓ એટલી ગંભીર હતી કે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અમરાઈવાડીના બળીયાદેવ મંદિર નજીક હત્યાની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતાં અમરાઈવાડી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળે જરૂરી કાર્યવાહી કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સાથે જ હત્યાના કારણો અને સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી.
પોલીસે પ્રાથમિક તપાસમાં હત્યામાં સંડોવાયેલા ચાર આરોપીઓની ઓળખ કરી હોવાનું જાણવા મળે છે. તેમાંથી બે મુખ્ય આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય બે આરોપીઓ ઘટના બાદ ફરાર થઈ ગયા હતા. તેમને ઝડપી પાડવા અમરાઈવાડી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે. પોલીસ હવે હત્યા પાછળના ચોક્કસ કારણો, હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો અને સમગ્ર ઘટનામાં દરેક આરોપીની ભૂમિકા અંગે વધુ તપાસ કરી રહી છે. કૌટુંબિક વિવાદમાંથી શરૂ થયેલો મામલો અંતે હત્યા સુધી પહોંચતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ છે.










































