શહેરના દેવબાગ અને વિજયરાજનગર વિસ્તારમાં અશાંત ધારો લાગુ હોવા છતાં નિયમોના ભંગ અને મિલકતોમાં ગેરકાયદેસર વસવાટના આક્ષેપોને લઈને સ્થાનિક રહીશો દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. રહીશોએ આવેદનપત્ર આપી સમગ્ર મામલે સ્થળ તપાસ કરી નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, અશાંત ધારા હેઠળ આવતા વિસ્તારમાં મિલકતોના વેચાણ અને હસ્તાંતરણ અંગેના નિયમોનું પાલન થતું નથી તેવી ફરિયાદો સામે આવી રહી છે. આ ઉપરાંત કેટલાક મકાનો, ફ્લેટ અને પ્લોટમાં નિયમવિરુદ્ધ વસવાટ થતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
દેવબાગ સોસાયટીના પ્રમુખ જશપાલસિંહ ગોહિલના જણાવ્યા પ્રમાણે, વિસ્તારમાં અશાંત ધારો લાગુ હોવા છતાં કેટલાક હિન્દુ માલિકીની મિલકતોમાં અન્ય સમુદાયના પરિવારો ગેરકાયદેસર રીતે રહેતા હોવાની ફરિયાદો મળી છે. તેમણે જણાવ્યું કે દેવબાગ વિસ્તારમાં દેવનાથ મહાદેવનું મંદિર આવેલું હોવાથી ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઊભી ન થાય તે માટે અગાઉ પણ મામલતદાર કચેરી અને પોલીસ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિકોએ મિલકતોના નિયમવિરુદ્ધ વ્યવહારો અટકાવવા માટે તંત્રનું ધ્યાન દોર્યું હોવા છતાં કેટલાક પ્લોટના વ્યવહારો થયા હોવાનો આક્ષેપ કર્યો છે.
સ્થાનિક રહીશોએ કલેક્ટર સમક્ષ ચોક્કસ પ્લોટ નંબર અને સ્થળની વિગતો રજૂ કરીને સમગ્ર મામલે સ્થળ તપાસ કરવાની માંગ કરી છે. તેમની માંગ છે કે અશાંત ધારા હેઠળ મિલકતોના હસ્તાંતરણ અને વસવાટને લગતા નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સ્થાનિકોએ ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે હ્લૈંઇ નોંધવા અને નિયમ મુજબ કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.
રહીશોએ તંત્રને રજૂઆત કરી છે કે સમગ્ર મામલે વહેલી તકે યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવામાં આવે. જો તેમની ફરિયાદ અંગે સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. જોકે, સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની સત્તાવાર તપાસ અને સંબંધિત તંત્રની કાર્યવાહી બાદ જ સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થશે.
બીજી તરફ વડવા ‘અ’ વિસ્તારના વિજયરાજનગરના રહીશ અર્જુનસિંહ અરુણસિંહ જાડેજાએ પણ અશાંત ધારા સંબંધિત મુદ્દો ઉઠાવ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે ડેરી રોડ વિસ્તારમાં અશાંત ધારો લાગુ થયા બાદ પણ નવા રહેણાક બાંધકામની તૈયારી ચાલી રહી છે. અહીં ૨ બીએચકે અને ૩ બીએચકે ફ્લેટની સ્કીમ લાવવાની તૈયારી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. આ અંગે અગાઉ મામલતદાર અને એસડીએમ સમક્ષ પણ અરજી કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
દેવબાગ અને વિજયરાજનગરના રહીશો દ્વારા આ મુદ્દે એકસાથે જિલ્લા કલેક્ટર અને એસડીએમ સમક્ષ રૂબરૂ હાજર થઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રહીશોએ અશાંત ધારા હેઠળના નિયમોનું કડક પાલન થાય, મિલકતના વ્યવહારોની તપાસ કરવામાં આવે અને નિયમવિરુદ્ધ પ્રવૃત્તિ જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. હવે સ્થાનિકોની રજૂઆત બાદ જિલ્લા તંત્ર અને સંબંધિત અધિકારીઓ દ્વારા આ મામલે શું તપાસ અને કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.










































