રાજકોટ શહેરમાં આગામી ૫ થી ૭ જૂનના રોજ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ત્રિ-દિવસીય ‘દિવ્ય દરબાર’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ ધાર્મિક કાર્યક્રમની સત્તાવાર શરૂઆત થાય તે પહેલાં જ રાજકોટનું રાજકારણ અને સામાજિક વાતાવરણ જારદાર ગરમાયું છે. બાબાના આગમન પૂર્વે જ એક મોટો વિવાદ સામે આવ્યો છે, જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની દિવ્ય શક્તિઓ સામે સવાલ ઉઠાવનાર રાજકોટના એડવોકેટ પુરુષોત્તમ પીપળિયાને સોશિયલ મીડિયાના માધ્યમથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હોવાનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.
રાજકોટમાં યોજાનારા આ બાગેશ્વર ધામ કાર્યક્રમ મુદ્દે હવે વિરોધનો વંટોળ પણ તેજ બન્યો છે. અંધશ્રદ્ધા નિર્મૂલન ક્ષેત્રે કામ કરતી સંસ્થા ‘વિજ્ઞાન જાથા’ દ્વારા આ કાર્યક્રમને લઈને પોતાનો વિરોધ નોંધાવાયો છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ મીડિયા સમક્ષ સત્તાવાર નિવેદન આપતાં જણાવ્યું હતું કે, “અમે અંધશ્રદ્ધાના કટ્ટર વિરોધી છીએ. લોકોની પવિત્ર શ્રદ્ધા અને આસ્થા પ્રત્યે અમારૂ હંમેશાં સમર્થન છે. અમે માત્ર ધર્મના નામે કરાતા ચમત્કારો, અંધશ્રદ્ધા અને ભ્રામક દાવાઓનો ખુલ્લેઆમ વિરોધ કરીએ છીએ. લોકોને ખોટા અવાસ્તવિક દાવા કરીને અંધશ્રદ્ધાની ગર્તામાં ડૂબાડી દેનારા તત્વો સામે અમારો પ્રહાર ચાલુ રહેશે.”
બીજી તરફ, બાબા સામે સવાલ ઉઠાવ્યા બાદ ચર્ચામાં આવેલા એડવોકેટ પુરુષોત્તમ પીપળિયાએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, “બાબાની શક્તિઓ પર સવાલ ઉઠાવ્યા બાદ મને સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. જે લોકો ધમકી આપી રહ્યા છે, તેઓ ચોક્કસ કટ્ટર વિચારધારાથી પ્રેરિત ધર્માંધ લોકો છે. હું પોતે સનાતન ધર્મનો વિરોધી નથી, હું ખુદ એક ચુસ્ત ધર્મ સમર્થક હિન્દુ છું. પરંતુ હું માત્ર ધર્મના આડમાં થતા ડિંડક, દોરાધાગા અને પ્રપંચનો વિરોધી છું.” વધુમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ આ ધમકી આપનારા તત્વો સામે હાલ કોઈ પોલીસ ફરિયાદ કરવાના નથી.
દિવ્ય દરબારના આયોજનને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે એકતરફ બાબાના ભક્તોમાં ભારે ઉત્સાહ છે, તો બીજી તરફ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા લોકો અને વિરોધી સૂરને કારણે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પણ તંત્ર એલર્ટ બને તેવી શક્યતા છે.









































