રતનપર બાયપાસ રોડ પર આવેલા મેક્શન સર્કલ પાસે દિનદહાડે સગીરની હત્યા નીપજાવતા ચકચાર મચી જવા પામી છે. બેથી ત્રણ અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી ૧૬ વર્ષના કિશોરની હત્યા નીપજાવી ભાગી છૂટ્યાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસે અજાણ્યા લોકો સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. તો બીજી બાજુ મૃતક કિશોરના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ૧૬ વર્ષના ધનરાજ કુણપરા પર બેથી ત્રણ અજાણ્યા શખસોએ તીક્ષ્ણ છરીના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતાર્યાની માહિતી મળી હતી. પ્રાથમિક તપાસમાં આ ખૂની ખેલ અંગત અદાવતમાં અંજામ આપવામાં આવ્યો હોવાનું અનુમાન છે. જાકે, આ અંગે પોલીસ હાલ તપાસ કરી રહી છે. તપાસ બાદ જ ચોક્કસ કારણ બહાર આવી શકે છે.
ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર આવી પહોંચ્યો હતો. જે બાદ પોલીસે મૃતદેહનો કબજા મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. હુમલાખોરો સગીરની હત્યા કર્યા બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
વડોદરા શહેરના અતિ સંવેદનશીલ ગણાતા પાણીગેટ વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા રોડ પર મોહમ્મદ સૈયદ નામનો વ્યકિત  પસાર થઈ રહ્યો હતો. ત્યારે વિશાલ કહાર નામના વ્યકિત  સાથે મોહમ્મદ સૈયદને કોઈ બાબતે સામાન્ય બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદ વિશાલ કહારે જાહેરમાં જ છરી કાઢી મોહમ્મદ સૈયદ પર જીવલેણ હુમલો કર્યો હતો. ઘટના સમયે બોલાચાલી બાદ વિશાલ કહારે ટ્રાફિકથી ધમધમતા રોડ પર મોહમ્મદ સૈયદ પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે મોહમ્મદ સૈયદ રોડ પર લોહીથી લથપથ હાલતમાં ઢળી પડ્યો હતો અને રોડ આખો રક્તરંજિત થઈ ગયો હતો. જેથી આખી ઘટનાને જાવા માટે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા અને ભારે ટ્રાફિક જામની સ્થિતિ  સર્જાઈ હતી. બાદમાં બનાવની જાણ થતા જ ડીસીપી અભિષેક ગુપ્તા અને એસીપી જી.ડી. પલસાણા સહિત સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે લોહીલુહાણ મોહમ્મદ સૈયદને સારવાર માટે તાત્કાલિક સયાજી હોસ્પિટલ માં ખસેડ્યો હતો. જ્યાં ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન મોહમ્મદ સૈયદનું મોત નીપજ્યું હતુ.