મધ્યપ્રદેશમાં ૧૮ જૂને ત્રણ રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે. એક બેઠક કોંગ્રેસને જઈ રહી છે. આ બેઠક દિગ્વીજય સિંહની છે. દિગ્વીજય સિંહે રાજ્યસભા લડવાનો ઇનકાર કરી દીધો છે. એવી અટકળો ચાલી રહી છે કે ભૂતપૂર્વ સીએમ કમલનાથ રાજ્યસભામાં ચૂંટાઈ શકે છે. તેમણે નવી દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી. આ પછી, ચર્ચાઓનો દોર શરૂ થયો છે.
મધ્યપ્રદેશમાં રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી થઈ રહી છે. આમાંથી બે બેઠકો ભાજપની છે. જાન્યુઆરીમાં, ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વીજય સિંહે જાહેરાત કરી હતી કે તેઓ જૂનમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે મધ્યપ્રદેશમાંથી કોંગ્રેસની એકમાત્ર બેઠક ખાલી કરશે. રાજ્ય કોંગ્રેસના સૂત્રો અનુસાર,એઆઇસીસી પાસે જૂનમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોની લાંબી યાદી છે. આ યાદીમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જુન ખડગે, પવન ખેરા, ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ બી.કે. હરિપ્રસાદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે સહિત અન્ય લોકોનો સમાવેશ થાય છે.
જાકે, જા આ રેસમાં કમલનાથનું નામ સામેલ કરવામાં આવે છે, તો તે પસંદગી પ્રક્રિયાને સરળ બનાવશે નહીં, કારણ કે કુલ ૨૬ ખાલી રાજ્યસભા બેઠકો હોવા છતાં, કોંગ્રેસ ફક્ત પાંચ જ જીતશે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસની એક બેઠક ખાલી પડી રહી છે, જેના કારણે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે.
વાસ્તવમાં, કમલનાથને ૨૦૨૨-૨૩માં એઆઇસીસી પ્રમુખ બનવાની ઓફર મળી હોવાના અહેવાલ છે. કમલનાથ અને તેમના પુત્ર નકુલ નાથ ૨૦૨૪માં ભાજપમાં જાડાશે તેવી ચર્ચા હતી. ત્યારથી, તેમણે કોંગ્રેસમાં કોઈ પદ સંભાળ્યું નથી. કમલનાથ છિંદવાડાના ભૂતપૂર્વ સાંસદ હતા. તેમણે પોતાના પુત્ર માટે પોતાની બેઠક છોડી દીધી હતી, પરંતુ નકુલ નાથ ૨૦૨૪ની ચૂંટણી હારી ગયા.
દિગ્વીજય સિંહ પછી, મધ્યપ્રદેશના કમલનાથ કોંગ્રેસના એકમાત્ર અગ્રણી નેતા છે જેમના નામથી ક્રોસ-વોટિંગ ટાળવાની અપેક્ષા રાખી શકાય છે. આ વર્ષે માર્ચમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી દરમિયાન હરિયાણા અને ઓડિશામાં કોંગ્રેસ માટે ક્રોસ-વોટિંગ એક મોટી સમસ્યા તરીકે ઉભરી આવ્યું હતું. રાજ્ય કોંગ્રેસના અધિકારીઓનો દાવો છે કે કમલનાથ અને દિગ્વીજય સિંહ સિવાય કોઈ પણ ઉમેદવાર ૬૧ ધારાસભ્યોનું સમર્થન મેળવી શકશે નહીં.
મધ્યપ્રદેશમાં, કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્ર ભારતીની સભ્યપદ સમાપ્ત કરવામાં આવી છે. વિજયપુરના ધારાસભ્ય મુકેશ મલ્હોત્રાને મતદાનનો અધિકાર આપવામાં આવ્યો નથી. ત્રીજા ધારાસભ્ય નિર્મલા સપ્રે પર હાઈકોર્ટમાં પક્ષપલટાનો કેસ ચાલી રહ્યો છે. પરિણામે, તેઓ પણ મતદાન નહીં કરી શકે. મધ્યપ્રદેશમાં રાજ્યસભાની બેઠક જીતવા માટે ૫૮ ધારાસભ્યોની જરૂર છે. કોંગ્રેસ પાસે આ આંકડા કરતાં ફક્ત ત્રણ મત વધુ છે, જેના કારણે પરિસ્થીતિ અનિશ્ચિત બની રહી છે.
મધ્યપ્રદેશમાં, ભાજપ પાસે ૧૬૫ ધારાસભ્યો છે. તેથી, બે બેઠકો પર વિજય નિશ્ચિત છે. આનાથી તેમની પાસે ૪૯ ધારાસભ્યો બાકી છે. રાજ્ય ભાજપના એક વરિષ્ઠ પ્રવક્તાએ જણાવ્યું હતું કે જા કોંગ્રેસમાં જૂથવાદ હશે, તો ભાજપ ત્રીજી બેઠક પર ચૂંટણી લડવાની તક ઝડપી લેવામાં અચકાશે નહીં.