અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચ આપી વિધવા મહિલા સાથે દુષ્કર્મ અને લાખોની છેતરપિંડી આચરનાર રાહુલ પટેલ અને પિયુશ પટેલ નામના બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ૩૬ વર્ષીય વિધવા મહિલાને આરોપી રાહુલે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી અને શારીરિક સંબંધો બાંધ્યા હતા. આરોપીએ મહિલા પાસેથી ઓનલાઈન અને રોકડ સ્વરૂપે કુલ ૧૯ લાખથી વધુની રોકડ તથા ૧૮ તોલા સોનાના દાગીના પડાવી છેતરપિંડી આચરી હતી.
ભોગ બનનાર પીડિત ૬ વર્ષીય વિધવા મહિલા જે મૂળ હૈદરાબાદની છે અને અમદાવાદમાં રહેવા આવી હતી. પોતાના પતિના અવસાન બાદ જીવનમાં એકલતા અનુભવી રહી હતી, જેનો ફાયદો આરોપી રાહુલ પટેલે ઉઠાવ્યો હતો. ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલ્યા બાદ તેણે મહિલા સાથે સતત સહાનુભૂતિપૂર્વક વાતચીત ચાલુ રાખી હતી. પોતે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને મહિલાને જીવનભર સાથ આપશે તેવા ખોટા વાયદાઓ કરીને મહિલાને પ્રેમ જાળમાં ફસાવીને મહિલાનો વિશ્વાસ જીતી લીધો હતો.
અમદાવાદના નવરંગપુરા પોલીસ મથકમાં નોંધાયેલી સત્તાવાર એફ.આઈ.આર.અનુસાર, આરોપી રાહુલ પટેલે ભોગ બનનાર વિધવા મહિલાને લગ્નની લાલચ આપીને સર્વપ્રથમ મહિલાનો વિશ્વાસ સંપાદિત કર્યા બાદ, આરોપીએ તેને વિવિધ સ્થળોએ લઈ જઈને બળજબરીપૂર્વક તેમજ સંમતિ વિના અવારનવાર શારીરિક શોષણનો શિકાર બનાવી હતી. આરોપીએ નવરંગપુરા વિસ્તારમાં આવેલી ‘હોટલ કદમ્બ ઇન’ ખાતે મહિલાને લગ્નના નામે ભોળવીને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત, એસ.જી. હાઈવે પર સ્થિત વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલા એક ખાનગી ફ્લેટમાં લઈ જઈ મહિલાની એકલતા અને લાચારીનો ફાયદો ઉઠાવીને તેનું શોષણ કરવામાં આવતું હતું. લગ્નના બહાને વિશ્વાસમાં લઈને આરોપી રાહુલે મહિલા સાથે અલગ-અલગ જગ્યાએ અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.
માત્ર શારીરિક શોષણ જ નહીં, આરોપીએ મહિલાને આર્થિક રીતે પણ કંગાળ કરી મૂકી હતી. ધંધામાં રોકાણ કરવાના બહાને રાહુલે મહિલા પાસેથી ઓનલાઈન અને રોકડા મળીને કુલ ૧૯,૯૧,૦૦૦ રૂપિયા પડાવ્યા હતા. મહિલાએ બેંકમાંથી છોડાવેલું ૧૬,૫૦,૦૦૦ રૂપિયાની કિંમતનું ૧૮ તોલા સોનું પણ પોતાના કબજામાં લઈ લીધું હતું. આ ઉપરાંત મહિલાના નામે લોન પણ લીધી હોવાનું સામે આવ્યું છે.
જ્યારે લગ્ન નક્કી થયા ત્યારે આરોપી રાહુલે મહિલાને લગ્નની વિધિ માટે ઘી કાંટા કોર્ટમાં બોલાવી હતી. પીડિત મહિલા ત્યાં પહોંચી ત્યારે આરોપી પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને ત્યાંથી પલાયન થઈ ગયો હતો. મોડે મોડે પણ પોતાની સાથે મોટી છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થતાં મહિલા નવરંગપુરા પોલીસ સ્ટેશને પહોંચી હતી. ત્યારે પીડિતાની ફરિયાદના આધારે નવરંગપુરા પોલીસે રાહુલ પટેલ અને પિયુશ પટેલ નામના બે શખ્સો સામે ગુનો નોંધી, તેઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.