શહેરના વટવા વિસ્તારમાં દહેજ ભૂખ્યા સાસરિયાઓના ત્રાસની એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં ત્રણ મહિનાનો ગર્ભ ધરાવતી ૩૧ વર્ષીય પરિણીતાએ પતિ, જેઠ અને સાસુના અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. મૃતક પરિણીતા પાસેથી એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં સાસરિયાઓના ત્રાસનો ઉલ્લેખ કરાયો છે.
મળતી માહિતી મુજબ, જશોદાનગરમાં રહેતા ૬૦ વર્ષીય શરીમતીબેન સિંહની ૩૧ વર્ષીય પુત્રી રીંકીદેવીના લગ્ન વર્ષ ૨૦૧૩માં વટવા ખાતે રહેતા અને લુધિયાણા આર્મીમાંથી નિવૃત્ત થયેલા નરેન્દ્ર રાજપૂત સાથે થયા હતા. લગ્નના શરૂઆતના બે મહિના બાદ જ પતિ નરેન્દ્ર, સાસુ ફુલાબેન અને જેઠ પ્રવિણે રીંકીદેવીને દહેજ બાબતે મેણા-ટોણા મારી શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
સાસરિયાઓ પરિણીતાને મોબાઇલ પણ વાપરવા દેતા નહોતા અને પિયરમાં માતા-પિતા સાથે વાત કરવા કે ઘરે જવા પર પણ પાબંદી લગાવી દીધી હતી. વર્ષ ૨૦૧૮માં પણ પતિના મારથી કંટાળી રીંકીદેવી પિયર જતી રહી હતી અને પોલીસમાં અરજી કરી હતી, જા કે બાદમાં સમાજના આગેવાનોની મધ્યસ્થતાથી સમાધાન થતાં તેઓ પરત સાસરીમાં આવ્યા હતા.
સમાધાન બાદ પણ સાસરિયાઓ સુધર્યા નહોતા અને તેમણે ફરીથી દહેજમાં સોનાની ચેઈન, બુલેટ બાઈક અને રોકડા રૂપિયાની માંગણી સાથે અત્યાચાર ગુજારવાનું શરૂ રાખ્યું હતું. ગત ૨૫ જૂનના રોજ રીંકીદેવીએ કોઈક રીતે પોતાની માતાને ફોન કરીને રડતા રડતા જણાવ્યું હતું કે, ‘તેને ત્રણ મહિનાનો ગર્ભ હોવા છતાં પતિ તેની પાસે ઘરનું ભારે કામ કરાવે છે અને મારઝૂડ કરે છે.’
જે તે સમયે માતાએ પુત્રીને સાંત્વના આપી સમજાવી હતી, પરંતુ સાસરિયાઓનો ત્રાસ અસહ્ય બની જતાં આખરે ૨૮ જૂનની સવારે પરિણીતાએ ઘરમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, જ્યાં તપાસ દરમિયાન પરિણીતાના મૃતદેહ પાસેથી એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી.
આ સ્યૂસાઇડ નોટમાં પરિણીતાએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે, તે પોતાના પતિ, જેઠ અને સાસુના અતિશય ત્રાસથી કંટાળીને આ પગલું ભરી રહી છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે મૃતકની માતા શરીમતીબેને જમાઈ નરેન્દ્ર રાજપૂત, જેઠ પ્રવિણ અને સાસુ ફુલાબેન સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.










































