ખેડા જિલ્લાના ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ બાદ વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બ્લાસ્ટમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા શ્રમિક દેવાંગ પરમારનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. તેમના નિધનથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
દેવાંગ પરમાર વિસ્ફોટ દરમિયાન ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાના તરત બાદ તેમને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોની સતત સારવાર છતાં તેમનું જીવન બચાવી શકાયું નહોતું. આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ફેક્ટરીનો માલિક હજુ સુધી પોલીસના હાથ લાગ્યો નથી. પોલીસ દ્વારા તેની શોધખોળ માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે.
બ્લાસ્ટ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તપાસને વધુ વેગ આપવામાં આવ્યો છે. તપાસમાં ફેક્ટરી પાસે જરૂરી લાઇસન્સ હતું કે નહીં, સુરક્ષા નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં અને વિસ્ફોટ પાછળ કોઈ બેદરકારી જવાબદાર હતી કે કેમ તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ ચાલી રહી છે.
પોલીસ દ્વારા સ્થળ પરથી મળેલા પુરાવા, દસ્તાવેજો અને સંબંધિત લોકોના નિવેદનોના આધારે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.