ઈદ-ઉલ-અધાનો તહેવાર આજે ભક્તિભાવથી ઉજવાયો હતો . વિવિધ સ્થળોએ ઈદ-ઉલ-અધાની નમાઝ અદા કરવામાં આવી હતી. દેશમાં શાંતિ અને ભાઈચારો માટે પ્રાર્થના કરવામાં આવી હતી. બકરી ઈદ માટે દિલ્હી અને ગૌતમ બુદ્ધ નગરમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી શાંતિપૂર્ણ વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે પોલીસે તૈયારીઓ કરી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વીટર પર લખ્યું, “ઈદ-ઉલ-ઝુહા નિમિત્તે, હું મારા બધા સાથી નાગરિકો, ખાસ કરીને મારા મુસ્લિમ ભાઈઓ અને બહેનોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. આ તહેવાર સમર્પણ, ત્યાગ અને બલિદાનનું પ્રતીક છે. આ તહેવાર આપણને માનવતા, ખાસ કરીને વંચિતોની સેવા કરવા પ્રેરણા આપે છે. ચાલો, આ પ્રસંગે, સમાજમાં પ્રેમ અને સંવાદિતા ફેલાવવા માટે વધુ પ્રતિબદ્ધતા સાથે આગળ વધીએ.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર લખ્યું, “ઈદ અલ-અધા પર હાર્દિક શુભેચ્છાઓ! આ પ્રસંગે આપણા સમાજમાં ભાઈચારો અને ખુશીની ભાવના વધુ મજબૂત બને. દરેકની સફળતા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના.”
શનિવારે દેશભરમાં બકરી ઇદનો તહેવાર ભક્તિ અને આદર સાથે ઉજવવામાં આવ્યો. રાજધાની દિલ્હીના ઓખલા વિહાર વિસ્તારમાં આવેલી શિયા મસ્જિદ બાબુલ ઇલ્મમાં મોટી સંખ્યામાં લોકોએ ઈદ અલ-અધાની નમાઝ પણ અદા કરી. પહેલી નમાઝ સવારે ૯ વાગ્યે ઇમામ-એ-જુમા સૈયદ તસ્દીક હુસૈન રિઝવીના નેતૃત્વમાં અદા કરવામાં આવી. બીજી નમાઝ સવારે ૧૦ વાગ્યે મૌલાના સૈયદ તાલિબ ઝૈદીના નેતૃત્વમાં થઈ. આ સમય દરમિયાન, મસ્જિદ પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા. લગભગ ૨,૦૦૦ લોકોએ નમાજ અદા કરી અને દેશમાં શાંતિ, ભાઈચારો અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.
બકરી ઇદ પર ગૌતમ બુદ્ધ નગરમાં ૧૮૦ થી વધુ મસ્જિદોમાં નમાજ અદા કરવામાં આવી . સંયુક્ત પોલીસ કમિશનર રાજીવ નારાયણ મિશ્રાએ કડક સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી આપી હતી. ત્રણેય ઝોનમાં સિવિલ પોલીસ અને પીએસી દળો તૈનાત છે. કંટ્રોલ રૂમ અને સોશિયલ મીડિયા દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. કાયદો અને વ્યવસ્થા બગડવા દેવામાં આવશે નહીં.