રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની સગીરા સાથે સામુહિક દુષ્કર્મ થયાનો ગંભીર મામલો સામે આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક માહિતી મુજબ, સગીરાની સોશિયલ મીડિયા મારફતે એક યુવક સાથે ઓળખાણ થઈ હતી. બાદમાં આ ઓળખાણ મિત્રતામાં અને ત્યારબાદ પ્રેમજાળમાં ફેરવાઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ફરિયાદ મુજબ, આ દરમિયાન અલગ-અલગ આરોપીઓ સાથે સંપર્ક થયો અને બાદમાં સાત જેટલા શખ્સોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પીડિતાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે આરોપીઓએ તેને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જેમાં ઘર, હોટલ તેમજ ચાલતી કારમાં પણ ધમકી અને દબાણ હેઠળ અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. છરી બતાવી ડરાવવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ફરિયાદ બાદ પોલીસે પીડિતાના પિતાની અરજીના આધારે એક સગીરા સહિત કુલ ૮ લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે ભોગ બનનાર સગીરાને તેની બહેનપણી દ્વારા મોબાઈલ ફોન આપવામાં આવ્યો હતો, જેમાં પહેલેથી ઇસ્ટાગ્રામ એકાઉન્ટ ઓપન હતું. આ એકાઉન્ટ મારફતે જ પ્રથમ વખત એક યુવક સાથે વાતચીત શરૂ થઈ હતી.પોલીસ દ્વારા હાલ ડિજિટલ પુરાવા, સોશિયલ મીડિયા ચેટ્‌સ તેમજ અન્ય ટેકનિકલ વિગતોની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે.